રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા : અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 16 પંપમાં ગેરરીતિ સામે આવતા ફટકાર્યો દંડ
ઘણા લાંબા સમય પછી રાજ્યના તોલમાપ ખાતાએ પેટ્રોલ પંપ ઉપર ચેકિંગ ઝુંબેશ હાથ ધરીને કેટલીક ગેરરીતિ પકડી પાડી હતી. સતત બે દિવસ સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન 267 પેટ્રોલ પંપ ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી ૧૬ પંપ ઉપર ગેરરીતિ ધ્યાનમાં આવતા દંડ વસુલવામાં આવ્યો હતો. જો આ પ્રકારની ઝુંબેશ નિયમિત રીતે હાથ ધરવામાં આવે તો ગ્રાહકો સાથે જે છેતરપિંડી થાય છે તે ઓછી થાય એ નક્કી છે.

સરકારી સુત્રો અનુસાર, આ ઝુંબેશનો હેતુ પેટ્રોલ-ડીઝલ પંપો પર ગેરરીતિઓને રોકવા અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો હતો. આ ઝુંબેશ દરમિયાન રાજ્યના વિવિધ શહેરો અને હાઈવે પર આવેલા પેટ્રોલ-ડિઝલ પંપોની તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક પંપો પર નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું.

રાજ્યના 33 જિલ્લાઓમાં 267 પેટ્રોલ-ડીઝલ પંપોની તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન 16 પંપો પર ગેરરીતિઓ જણાતાં તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં અમદાવાદના 3, પંચમહાલના 2 પેટ્રોલ પંપો આ ઉપરાંત વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા અને મોરબીમાં 1-1 પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : ક્રિકેટરોની દેશભક્તિ આખરે જાગી ! ભારત-પાકિસ્તાન મેચ રદ્દ, આ 5 ખેલાડીઓએ કર્યો મેચનો બહિષ્કાર
તપાસ દરમિયાન પેટ્રોલ-ડીઝલ પંપો પર અનેક ગેરરીતિઓ સામે આવી, ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર ફેરચકાસણી/મુદ્રાકન ન કરાવવું , ડીસ્પેંસિગ યુનિટનું ફેર ચકાસણી/મુદ્રાકન ન કરાવવું, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શીત ન કરવું જેવી ગેરરીતિઓ સામે આવી હતી.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને છેતરપિંડીથી બચાવવાનો હતો. પેટ્રોલ-ડીઝલ પંપો પર ગ્રાહકો રોજિંદી જરૂરિયાતો અને મુસાફરી માટે ઇંધણની ખરીદી કરે છે, પરંતુ ઘણીવાર ઓછું ઇંધણ આપવાની ફરિયાદો ઉઠે છે. આવી ઝુંબેશ દ્વારા તોલમાપ તંત્ર નિયમોનું પાલન સુનિશ્ચિત કરીને ગ્રાહકોનું રક્ષણ કરવા પ્રયત્નશીલ છે.