વાવડીમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રૂ.13.13 લાખનો દંડ : જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ બદલ રાજકોટ કલેકટરની ફટકાર
રાજકોટ ગોંડલ હાઇવે ઉપર વાવડી સર્વે નંબર 38 પૈકી 1ની ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થયેલી જગ્યામાં મહાનગર પાલિકાની મંજૂરી વગર જ બાંધકામ કરી નેશનલ હાઇવે હોવા છતાં માર્જિન મુક્યા વગર દબાણ કરી પ્રેમવતી રેસ્ટોરન્ટ શરૂ કરી દેવા પ્રકરણમાં શરતભંગ કેસમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા શરતભંગ સાબિત માની પ્રેમવતી રેસ્ટોરન્ટના સંચાલક એવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને રૂપિયા 13.13 લાખનો દંડ ફ્ટકારવાની સાથે નેશનલ હાઇવે ઓથોરિટી અને સક્ષમ સતામંડળને ગેરકાયદેસર બાંધકામ મામલે પગલાં ભરવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના વાવડી ગામના સર્વે નંબર 38પૈકી 1ની જમીનમાં પ્લોટ નંબર 1થી 10ની 10,099.35 ચોમી ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી થઇ હોવા છતાં અહીં બોચાસણવાસી અક્ષર પુરસોત્તમ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી ગુરુ યજ્ઞ પુરુષદાસજી દ્વારા કોઈપણ જાતની બાંધકામ મંજૂરી લીધા વગર હેતુફેર કરાવ્યા વગર પ્રેમવતી રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું હોય રાજકોટના કૃષ્ણદત રાવલ અને સંજય લાખાણી દ્વારા શરતભંગ સબબ પગલાં ભરવા રજુઆત કરતા તાલુકા મામલતદાર રાજકોટ દ્વારા ગત જાન્યુઆરી માસમાં અહેવાલ કરવામાં આવ્યો હતો જેના પગલે આસિસ્ટન્ટ કલેકટર દ્વારા શરતભંગ સબબ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવતા જૂન માસમાં જિલ્લા કલેકટર દ્વારા કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી.

બાદમાં શરતભંગ કેસ ચાલી જતા જિલ્લા કલેકટર દ્વારા બિનખેતી હેતુફેર કરાવ્યા વગર છેલ્લા પાંચ વર્ષથી અહીં પ્રેમવતી રેસ્ટોરન્ટ ચાલુ હોવાની સાથે અહીં મંદિર, બગીચો, ચાર રૂમ, સ્વીમીંગપુલ તેમજ ઓફિસનો કોમર્શિયલ ઉપયોગ થતો હોય શરતભંગ સાબિત માની રૂપિયા 13.13 લાખનો દંડ ફટકારી આ જગ્યાનો વાણિજ્ય ઉપયોગ ચાલુ રાખવો હોય તો જમીન ત્રણ મહિનામાં હેતુફેર કરાવી લેવા હુકમ કર્યો હતો. સાથે જ નેશનલ હાઇવે ઉપર માર્જિન છોડયા વગર કરેલ બાંધકામ મામલે હાઇવે ઓથોરિટીને પગલાં ભરવા તેમજ ફાયર એનઓસી અને બાંધકામ પરવાનગી વગર કરવામાં આવેલ બાંધકામ મામલે કાર્યવાહી કરવા પણ સંબંધિત વિભાગને નિયમોનુસાર કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવ્યો હતો.
