PM મોદી આજથી બે દિવસ ગુજરાતમાં : વડોદરામાં ભવ્ય રોડ શો, કર્નલ સોફિયા કુરૈશીના પરિવારે સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 5 હજાર કરોડથી વધુની રકમના પ્રોજેક્ટના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરશે. તેઓ 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદીનું વડોદરામાં સવારે 10 વાગ્યે આગમન થયું હતું. તેઓ 11 વાગ્યે દાહોદ પહોંચશે. આ પછી બપોર બાદ તેઓ ભુજ જશે. દાહોદ અને ભુજમાં યોજનાઓનું લોકાર્પણ અને જાહેરસભા કરશે. સોમવારે સાંજે તેઓ અમદાવાદ પહોંચશે જ્યાં રોડ શો નું આયોજન કરાયુક હે. તેઓ ગાંધીનગર જઈને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે અને બીજા દિવસે એટલે કે મંગળવારે મહાત્મા મંદિરમાં યોજનાઓનું લોકાર્પણ કરશે.
વડોદરામાં PMનો રોડ શો
PM મોદીના રોડ શોમાં ઉત્સાહિત લોકો અને કાર્યકરોએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તેમનો આભાર માન્યો.

ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ PM ના રોડ શોમાં ભાગ લીધો
વડોદરામાં PM મોદીના રોડ શોમાં દેશના લોકો તેમજ ગુજરાતમાં અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ હાજરી આપી હતી. રોડ શોમાં ભાગ લેનાર વિદ્યાર્થીએ કહ્યું, ‘આતંકવાદ સામેની લડાઈમાં અમે ભારતની સાથે ઉભા છીએ.’ અમે ભારતને ટેકો આપીએ છીએ.
કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર સ્ટેજ પર દેખાયો

વડોદરામાં પીએમ મોદીના રોડ શોના માર્ગમાં બનાવેલા સ્ટેજ પર કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ જોવા મળે છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અપાર ઉત્સાહ અને ઉમંગ…
— BJP Gujarat (@BJP4Gujarat) May 26, 2025
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જીને આવકારવા તૈયાર છે વડોદરા…
#PMinVadodara pic.twitter.com/5GTrbecJsn
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે. સુરતના કાંકરા-ખાડીના કિનારે ₹145 કરોડના ખર્ચે પડતર જમીનનો કાયાકલ્પ કરીને બનેલા બાયોડાયવર્સિટી પાર્કનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાનશ્રી ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડ થી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આમાં બનાસકાંઠામાં ₹888 કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, ₹678 કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન ગાંધીનગર ખાતે ₹84 કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
