લોકોના ઘર તેમની સામે જ તોડી પાડયા…કોઈ કુબલિયાપરામાં, કોઈ સગાને ત્યાં રહેવા ગયું, જુઓ રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનના ભાવુક દૃશ્યો
આજે સવારથી જંગલેશ્વરમાં આજી નદીનો પટ તેમજ ટાઉન પ્લાનિંગ રોડ ઉપર રાજકોટ મહાપાલિકા દ્વારા ડિમોલિશન ચાલી રહ્યું છે તે પહેલાં જ શનિ-રવિ દરમિયાન મહત્તમ લોકોએ પોતે જ ઘર ખાલી કરી નાખ્યું અથવા તો જાતે જ દબાણો તોડી પાડયા હતા. એક જ ઝાટકે છત છીનવાઈ જતાં મોટી સંખ્યામાં લોકો ઉપર આફત આવી પડી હતી.

ટૂંકા ગાળામાં જ ઘર શોધવાનું હોય આખો દિવસ રઝળપાટ કર્યા બાદ કોઈને કુબલિયાપરામાં પાંચથી સાત હજાર રૂપિયાના ભાડે મકાન મળતાં ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા તો કોઈને ભાડું પરવડતું ન હોય જ્યાં સુધી ભાડાનું મકાન કે અન્ય કોઈ રહેઠાણ ન મળે ત્યાં સુધી પોતાના પરિવારજનને ત્યાં જો રૂમ કે ઓરડી ખાલી હોય તો ત્યાં રહેવા ચાલ્યું જવું પડયું હતું. ઘણા પરિવાર એવા પણ હતા જેમને રવિવાર રાત સુધી રહેવા માટે ઠેકાણું ન મળતાં હાલત કફોડી થઈ ગઈ હતી. આ બધાની વચ્ચે જેમનું ઘર છીનવાયું છે તેમની આંખમાં આંસુ જોવા મળ્યા હતા તો અનેક લોકોના ચહેરા ઉપર ‘હવે શું ?’ તેવી ચિંતા પણ જોવા મળી હતી.

રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવાર, 23મી ફેબ્રુઆરીએ શહેરના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જંગલેશ્વર તેમજ આજી નદીના પટ વિસ્તારમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ઉભેલા 1489 ગેરકાયદે મકાન-દુકાન સહિતના બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી કલમ 163 અમલમાં મુકાઈ છે.

વિસ્તારની મુલાકાત લેતા અફરાતફરી અને ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. દાયકાઓ જૂના આશ્રયસ્થાનો ગુમાવતા અનેક લોકો ચોધાર આંસુએ રડી રહ્યા હતા, તો કેટલાક પરિવારોને હવે ક્યાં જવું અને ક્યાં રહેવું તેની ચિંતા સતાવી રહી હતી.

શહેરમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. આ મેગા ઓપરેશન માટે 1130થી વધુ મનપા કર્મચારીઓ ખાસ એપ્રન અને હેલમેટ સાથે તહેનાત કરવામાં આવ્યા છે. 260થી વધુ વાહનો, જેમાં JCB, હિટાચી મશીનો, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે, કામગીરીમાં જોડાયા છે. આજી નદી પટની 55000 ચોરસ મીટર અને ટી.પી. રોડની 32000 ચોરસ મીટર મળી કુલ 87000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તાર સંવેદનશીલ હોવાને કારણે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. 2500થી વધુ પોલીસ જવાનો તહેનાત કરાયા છે અને કોઈપણ પ્રકારના વિરોધ કે અશાંતિની સ્થિતિમાં તાત્કાલિક ધરપકડના આદેશ આપવામાં આવ્યા છે.

અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા
તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અગાઉ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેના વીડિયો પુરાવા પણ જાહેર કરાયા છે. તેથી આ વખતે કોઈ નવું વૈકલ્પિક આવાસ આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં આશરે 225 પરિવારો સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી ચૂક્યા હતા.

તંત્રના મતે ડિમોલિશન અનિવાર્ય બનવાનું કારણ વિસ્તારની અતિ સાંકડી શેરીઓ, દુર્ઘટના સમયે બચાવ કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અને ચોમાસામાં આજી નદીના પૂરથી સર્જાતું જાનમાલનું જોખમ છે. ઉપરાંત વિસ્તાર કેટલાક ગુનાહિત તત્વોની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે.
છેલ્લા ત્રણ દિવસથી મનપાની ટીમોની હાજરીને કારણે વિસ્તારમાં ગમગીની અને આક્રોશનો માહોલ હતો. અનેક પરિવારો પોતાના ઘરનો સામાન ખસેડતા જોવા મળ્યા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો. સોમવારે સવારે 8 વાગ્યાથી બુલડોઝર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, જે અંદાજે 3 દિવસ સુધી ચાલુ રહેશે.
Hetal Patel, DCPએ જણાવ્યું હતું કે, “જંગલેશ્વરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન કામગીરી ચાલુ છે. કોઈ અણબનાવ કે ઘટના બની નથી. લોકો સ્વયંભૂ મકાનો ખાલી કરી રહ્યા છે. JCB દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ખોટી અફવાઓમાં વિશ્વાસ ન કરવો અને શાંતિ જાળવવી.”
