માવતરોને મળ્યાં ‘શ્રવણ’: સદ્દભાવના વૃદ્ધાશ્રમમાં શ્રાદ્ધમાં વડીલોને દત્તક લઈ 45 જેટલાં સંતાનોએ નિભાવ્યું સામાજિક કર્તવ્ય
“સાચું શ્રાદ્ધ એ છે કે જ્યાં એકલતા ઓગળી જાય અને પ્રેમથી જીવન નવેસરથી ખીલે.”શ્રાદ્ધનાં પવિત્ર દિવસો ચાલી રહ્યા હતા. જ્યાં લોકો પોતાના પિતૃઓ માટે તર્પણ કરે છે તો ઘણાં સંતાનોએ જીવતા જીવ વડીલો માટે એવી “સદ્દભાવના” કરી બતાવી છે કે આ માટે વડીલોનાં મુખેથી સરી પડે છે કે,કળયુગમાં અમને ઇશ્વરએ “શ્રવણ” આપ્યાં છે,અમે નસીબદાર છીએ..પેટનાં જણ્યા ન કરે એવી સેવા આ સંતાનો કરી રહ્યા છે.આજે વાત કરી રહ્યા છીએ આપણે સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની…700 જેટલા નિરાધાર માતા પિતાનાં પુત્ર બની ફરજ સાથે સેવા કરતાં વિજયભાઈ ડોબરીયાએ “માવતર”દત્તક આશીર્વાદ સેવા શરૂ કરી છે,જેમાં ઘણાં એવા સંતાનો છે કે જેમને માતા પિતા કે વડીલની હૂંફ જોઈતી હોય છે તેમને વડીલો દત્તક આપવામાં આવે છે.

આ સેવા બે વર્ષથી શરૂ કરાઇ છે જેમાં અત્યાર સુધીમાં 45 થી વધુ વડીલોને દત્તક લેવાયા છે.ખાસ કરીએ હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો હોય જેમાં અનેક પરિવારોએ બે દિવસમાં 10 જેટલા વડીલોનાં આધાર બનીને લાગણી વરસાવી રહ્યા છે.આ વિશે વિજયભાઈ ડોબરીયાએ “વોઇસ ઓફ ડે” સાથેની મુલાકાતમાં કહ્યું કે,2015માં 7 વડીલો સાથે વૃદ્ધાશ્રમ શરૂ કર્યું હતું.આજે 10 વર્ષ પછી 700 જેટલા વડીલોનો પરિવાર છે,200 વડીલ સાવ પથારીવશ છે.જેમ બાળકોને દત્તક લેવાય છે તેમ વૃદ્ધોને પણ દત્તક આપી શકાયને..? જેનાથી અમે આ વડીલોની બધી જ જરૂરિયાત પૂરી કરી શકીએ..બસ આ વિચાર સાથે વર્ષે 51,000 આપી એક વર્ષ માટે માતા કે પિતાને દત્તક લઈ શકે છે.

આ અભિયાનમાં રાજકોટ ઉપરાંત દેશ વિદેશથી ઘણાં સંતાનો જોડાયા છે.ઘણી વખત આ પરિવાર દત્તક લીધેલા વડીલોને મળવા પણ આવે છે તેમની સાથે સમય વિતાવે છે, સમયાંતરે ફોન કરીને ખબર અંતર પૂછે છે તો આ વડીલો માટે નવા વસ્ત્રો,ફ્રૂટ્સ વગેરે મોકલે છે.આ સતકાર્ય પછી ઘણાં સંતાનોને માતા-પિતા અને દાદા-દાદી જેમની ખોટ સાલતી હતી એ પૂરી થઈ,બસ આ ભાવના સાથે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં એક હૃદયસ્પર્શી અને અનોખું કાર્ય થઈ રહ્યું છે,અહીં કોઈ વિધિપૂર્વકના યજ્ઞ કે વૈદિક મંત્રોથી નહીં, પણ માનવતા, પ્રેમ અને સંવેદના દ્વારા વડીલોની સેવા થઈ રહી છે.
બા-દાદા THANK U નો વીડિયો બનાવી મોકલે છે
રાજકોટ,મુંબઈ,દુબઇમાંથી અનેક પરિવારો એ વડીલોને દત્તક લીધા છે ત્યારે આ બા અને દાદા તેમના સંતાનો સાથે વીડિયો કોલમાં વાત કરે છે તો થેક્યુ નો વીડિયો બનાવી ને મોકલે છે.તેમજ તહેવારોની ઉજવણી કરે ત્યારે વીડિયો બનાવીને મોકલે છે.આ એક સેવાથી વડીલોના જીવનમાં વસંત ખીલી છે.ત્યાં સેવા આપતાં અપેક્ષાબહેન કહે છે કે,અહીં સંપૂર્ણ પથારીવશ હોય એવા વડીલોની પણ અમે સેવા કરીએ છીએ,જો સામાજિક જાગૃતિ આવે તો ઝાઝા હાથ રળિયામણા ની જેમ વડીલો લાચાર ન રહે અને તેમના જીવનને આપણે આનંદિત કરી શકીએ.

માવતર દત્તક આશીર્વાદ યોજના,પુણ્યમાં ભાગીદાર બની શકીએ:,વિજય ડોબરીયા
સંચાલક વિજય ડોબરીયાએ કહ્યું હતું કે,આ યોજના થકી અમને ખર્ચામાં મોટી મદદ મળી રહે છે.ટૂંક સમયમાં દિવાળી પછી સદ્દભાવનાનું મોટું વૃદ્ધાશ્રમ બની જશે.લોકો જન્મદિન,મેરેજ એનિવર્સરી પર વડીલો અને વૃક્ષને દત્તક લેતા હોય છે.જ્યારે શ્રાદ્ધ પર્વ પર માવતર દત્તક યોજનામાં સહભાગી થઈ વડીલને દત્તક લઈ સેવાકીય રીતે તર્પણ કરી શકે છે.
