રાજકોટમાં 4 સેકેન્ડમાં બેકાબૂ સિટી બસે 4 લોકોની જિંદગી કચડી : ખરેખર જવાબદાર કોણ ?
રાજકોટ મહાપાલિકાની બસ સેવા એટલે શહેરના માર્ગો પર જાણે યમદૂતોના પાડા દોડતા હોય તેવુ બેફામ કે બેલગામ જેવી દોડતી બસો સમયાંતરે અકસ્માત સર્જતી રહે છે. આજે બુધવારની સવાર રાજકોટ સિટી બસ નં.ઈ-52એ ચાર પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી. યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે વાયુવેગે જાણે હવામાં ઉડાડતો હોય એ સ્પિડે ચાલકે બસ દોડાવતા માત્ર ચાર સેકન્ડમાં અર્ધો ડઝનથી વધુ વાહનોને ઠોકરે ચડાવી અસ્માતની હારમાળા સર્જી દીધી હતી. ચાર સેકન્ડના ગમખ્વાર અકસ્માતમાં ચાર-ચાર માનવ જીંદગીના પ્રાણ હરી લીધા હતા. ફિલ્મોમાં સર્જાતા દ્રશ્યો માફક હીટ એન્ડ રન જેવી વાસ્તવિક દુર્ઘટનાથી રોષે ભરાયેલા રાહદારીઓ ટોળાઓએ ચાલકને પણ બેરહેમીથી મેથીપાક આપી બસમાં તોડફોડ કરી હતી. પોલીસનો કાફલો ઉતરી આવ્યો હતો. ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો.
શું છે સમગ્ર મામલો ?
ચાર સેકન્ડમાં જ ચાર-ચાર વ્યક્તિનો જીવ હણી લેનાર સિટી બસના ચાલક તેમજ અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની કરૂણતા તો એ છે કે માતેલા સાંઢ જેવી બેકાબૂ સિટી બસના કારણે પ્રાણ ગુમાવનારા વ્યક્તિઓમાં એક યુવકના પિતાનું હજુ એક માસ પૂર્વે જ મૃત્યુ નિપજ્યુ હતું અને બહેનની આવતા સપ્તાહે સગાઈ હતી. જ્યારે વિધવા નેપાળી સ્ત્રી
એકલી જીવન નિર્વાહ ચલાવતી હતી. રાજકોટ મહાપાલિકાના કર્મચારીએ માસૂમ પુત્ર તથા ભાણેજની નજર સામે જીવ ગુમાવ્યો હતો. ચાર-ચાર પરિવારનાં કરૂણ આક્રંદથી અને વ્રજઘાતના દ્રશ્યોથી હાજર સૌકોઈ માનવીઓના હૈયા હચમચી ઉઠ્યા હતા. યુનિવર્સિટી પોલીસે હાલ તો બસ ચાલક સામે ગુનો નોંધી હોસ્પિટલ પર પોલીસ પહેરો ગોઠવી દીધો છે.

બસ પ્રદ્યુમન પાર્કથી લાઈટ હાઉસ મુંજકા 150 ફૂટ ન્યૂ રિંગ રોડ તરફ જવા નીકળી હતી
રાજકોટ શહેરમાં પ્રદ્યુમન પાર્કથી લાઈટહાઉસ રૂટ પર દોડતી સિટી બસ ઈ-52 પ્રદ્યુમન પાર્કથી લાઈટ હાઉસ મુંજકા 150 ફૂટ ન્યૂ રિંગ રોડ તરફ જવા નીકળી હતી. ચાર જીંદગીનું મોત બનીને નીકળેલી બસ મોરબી રોડ પર રતનપર ગામ નજીક સદ્ગુરૂ સોસાયટીમાં રહેતો શીશુપાલસિંહ દિલુભા રાણા (ઉ.વ.35 ) નામનો ચાલક ચલાવતો હતો. બસ કોટેચા ચોકથી યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે પહોંચી હતી. એ સમયે જ સર્કલ નજીક સાઈડમાં જઈ રહેલા ટુ વ્હીલર્સને ધડાધડ ઠોકરે ચડાવ્યા હતા.
બસ બેકાબૂ બની હોય કે ચાલકે બ્રેક જ ન લગાવી ને અલગ કાંઇક નશામાં હોય તે રીતે ધડાધડ એક પછી એક વાહનને ઠોકરે લેતો ગયો. ટુ વ્હીલર્સ, ઓટો રિક્ષા તેમજ કારને ઠોકરે ચડાવીને 100 ફૂટ જેવા અંતરે જઈને બસ ઉભી રહી ગઈ હતી. એટલા ચાર સેકન્ડના સમયમાં તો ચાર વ્યક્તિ સહિત દશ ઘવાયા હતા. જેમા કમિશનર અને અન્ય અધિકારીઓ દોડી ગયા હતા. બે વ્યક્તિના તો ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. એક લાશ તો બસ સાથે 50 ફૂટથી વધુ અંતરે ઢસડાઈ હતી.

ધર્મના ભાઇ સુરજ ધર્મેશભાઈ રાવલ સાથે જઈ રહેલી નેપાળી વિધવા સંગીતાબેન બલ બહાદૂર ચૌધરી (ઉ.વ.20 ) તેમજ ટુ વ્હીલર પર પુત્ર મનવીરને સ્કૂલેથી લેવા જતા રાજકોટ મહાપાલિકાના ઓડિટ વિભાગમાં ફરજ બજાવતા રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉ.વ.35 ) સાથે બોટાદથી આવેલી નાની ભાણેજ વિરાજબા મહાવીરસિંહ ખાચર પણ હતા. મામા-ભાણેજ બસની ઠોકરે લેતા સંગીતાબહેન તથા રાજુભાઈએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલ સુરજ ધર્મેશભાઈ રાવલને સારવારમાં ખસેડાયા હતા.
અન્ય બે વ્યક્તિમાં હાથીખાના શેરી નં.રમાં રહેતા લાલો ઉર્ફે ચિન્મય હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારી તરીકે નોકરી કરે છે જે આજે સવારે યુનિવર્સિટી જવા નીકળ્યો હતો અને ઇન્દિરા સર્કલ પાસે બસના કાળનો કોળીયો બની ગયો હતો. બે ભાઈમાં નાનો હતો. માતાનું કેન્સરની બિમારીમાં થોડા વર્ષ પહેલા મૃત્યુ નિપજ્યુ હતું. પિતાનું એક માસ પહેલા ધૂળેટીના દિવસે મૃત્યુ થયુ હતુ. ભાઈ-બહેન એકલા રહેતા હતા. બહેન ઉર્વશી એક ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતી હોવાનું જાણવા મળે છે.

જ્યારે વહુ સાથે ટુવ્હીલર પર જઈ રહેલા કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ (ઉ.વ.56 ) રહે. શાંતિનિકેતન કોલોની બ્લોક નં.૧૮, કોટેચા ચોક)નું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક કિરણબેન સારા તરવૈયા હતા. વહુ નેહાબેન કક્કડને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઇન્દિરા સર્કલ પર રાહદારીઓ, મૃતકના પરિવારજનો, સંબંધીઓના ટોળા ઉમટી પડયા હતા. ભારે રોષ ફેલાયો હતો. ટોળાએ ચાલકને પણ બરાબરનો ઠમઠોરતા સારવારમાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ટોળાને વિખેરવા કર્યો લાઠીચાર્જ
બસના કાચ તોડી નાખ્યા હતા. જે રીતે બસની સ્પિડ હતી તેને લઈને સર્કલ પર ઉભી રહેતી ટ્રાફિક પોલીસમેનને પણ ટોળાએ ઘેરી લીધો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસમેન ભાગીને બી.આર.ટી.એસ. તરફ ચાલ્યો જતાં તે તરફ ટોળાએ દોટ મૂકી હતી. સ્થિતિ વણસતા પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડયો હતો. અકસ્માતના પગલે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ડી.સી.પી. ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી. ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી, પીઆઈ સહિતનો કાફલો ઉતરી પડયો હતો. આરંભે ટોળાને સમજાવવા પ્રયાસ કરાયો હતો પરંતુ પોલીસ સામે જ આક્ષેપો, પ્રતિ આક્ષેપો ઉકળાટ ઠલવાતા અને સ્થિતિ વણસે એવુ દેખાતા પોલીસે હથિયાર ઉપાડી લાકડીઓ વિંઝી હતી.

પથ્થરમારો કરી ટોળાંએ અન્ય બસોને પણ રોકાવી લીધી
અકસ્માતની હારમાળા સર્જીને ચાર-ચાર પરિવારના માળા પીંખી નાખનાર સિટી બસમાં ટોળાએ તોડફોડ કરી બી.આર.ટી.એસ. રૂટ પર નીકળેલી અન્યો બસોને પણ અટકાવીને બંધ કરાવી દેવાઇ હતી. પોલીસ અને આરએમસી દ્વારા સમજાવટ બાદ ફરી રૂટ પૂર્વવત કરાયો હતો.
25 નવી બસના ઉદ્ઘાટનની વાહવાહી લૂંટી, હવે મોત માટે કોણ જવાબદાર ?
શહેરમાં ડિઝલના ધૂમાડા ઓકતી અને કંડમ થઇ ગયેલી બસોને અંતે મહાપાલિકાએ દૂર કરી હતી અને થોડા સમય પહેલા ૨૫ નવી બસ રાજકોટમાં આવી હતી અને શાસકોએ લીલીઝંડી બતાવી પ્રજાને સુવિધા આપ્યાની વાહવાહી લૂંટી હતી. હવે આ મોત માટે કોણ જવાબદારી લેશે ? તેવો લોકોના શબ્દોમાં આક્રોશ ઉભરાયો હતો.

બસચાલક પીધેલો, નશો કરેલો હતો કે કેમ ? સેમ્પલ લેવાયા
પળવારમાં ચાર-ચારના જીવ છીનવી લીધા એ સિટી બસનો ચાલક શિશુપાલસિંહ અત્યારે તો હોસ્પિટલના બીછાને પડયો છે. રોષે ભરેલા ટોળાએ બરાબરનો ધમાર્યો હતો. બસ ચાલકે નશો કર્યો હતો તેવી ત્યાં હાજર ટોળાએ હો..હા.. મચાવી હતી. ચાલક ખરેખર પીધેલો હતો કે કેમ? દારૂ અથવા ગાંજો કે આવો કોઇ નશો કર્યો હતો ? તે ચકાસવા ચાલકના બ્લડ સેમ્પલ લેવાયાનું તેમજ બસ ચાલકથી બ્રેક લાગી ન હોઈ શકે તેવુ ડીસીપી બાંગરવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ.