તો જ ખેલશે અને ખીલશે રાજકોટના રમતવીરો: મહાપાલિકાની રમત-ગમત માટેની કવાયત આવકારદાયક પણ સાચી દિશાની જરૂર
કમિશનરે રાજકોટમાં રમત- ગમતનું કાબિલેદાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા ઉઠાવેલું બીડું ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે અહીંના ખેલાડી રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડશેકાર્યક્રમો પાછળ લાખો-કરોડો રૂપિયાનો ધૂમાડો થાય જ છે ત્યારે જો રાજકોટના રમતવીરો માટે તંત્ર થોડો- વધુ ખર્ચ કરશે તો લેખે લાગ્યા વગરનહીં રહે, ખેલાડીઓને સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ દત્તક પણ લઇ શકેએકલા એકેડેમી સંચાલકો કે કોચ સાથે બેઠક કર્યે રાજકોટના ખેલાડીઓ તૈયાર નહીં થાય
આગામી વર્ષોમાં અમદાવાદના આંગણે કોમનવેલ્થ ગેમ્સ રમાવાની છે. આ ઉપરાંત નેશનલ ગેમ્સ પણ આયોજિત થવાની છે ત્યારે ખેલાડીઓના ઘડતર માટે અત્યંત મહત્ત્વની ગણાતી આ ટૂર્નામેન્ટસમાં રાજકોટના ખેલાડીઓ પણ દમદાર પ્રદર્શન કરી શકે તે માટે શહેરમાં જનભાગીદારીથી રમત-ગમત માટેની સુવિધા ઉભી કરવા માટેની જાહેરાત 2026-27ના બજેટમાં કરવામાં આવી હતી. આ પછી મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રમત-ગમતના નિષ્ણાતો સાથે બેઠકનું આયોજન પણ કરાયું હતું જેમાં એક કલાક સુધી વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. ખેર, એ વાત અલગ છે કે આ બેઠકમાં મહત્તમ લોકો એકેડેમી સંચાલક જ હતા જેઓ મહિને ખેલાડીઓ પાસેથી ફી વસૂલી રમત-ગમતની સુવિધા તેમજ તાલીમ પૂરી પાડે છે. એકંદરે આ બેઠકની ફલશ્રુતિ શું નીકળી તે તો આવનારો સમય બતાવશે. આ કવાયત ખરેખર આવકારદાયક છે પરંતુ જો તેને સાચી દિશામાં લઈ જવામાં આવે તો રાજકોટના રમતવીરો ખેલશે પણ અને ખીલશે પણ…
રાજકોટમાં રમત-ગમતનું શાનદાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તેમાં કોઈને શું વાંધો હોઈ શકે ? આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા માટે રમત-ગમતના નિષ્ણાતો તેમજ ખેલાડીઓ પાસેથી સુચન લેવામાં આવે તે પણ બિરદાવવા લાયક કામગીરી છે પરંતુ આ બધું સાર્થક ત્યારે જ થઈ શકે જ્યારે રાજકોટના ખેલાડીઓ અમદાવાદ, સુરત, વડોદરાના ખેલાડીઓની જેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડે. અત્યારે પણ રાજકોટમાં એવા ખેલાડીઓ છે જેઓ અલગ-અલગ રમતમાં કાઠું કાઢી રહ્યા છે. જો આવા ખેલાડીઓને મહાપાલિકા દત્તક લઈને તેને રમત-ગમતમાં વધુ બળવત્તર બનાવે તો તે જરૂર રાજકોટનું નામ રોશન કરશે.
ગુજરાતમાં દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે અને તેમાં રાજકોટના અનેક ખેલાડીઓ ભાગ લઈ મેડલ પણ લઈ આવે છે પરંતુ અનેક ખેલાડીઓ એવા પણ હોય છે જેઓ પાસે મર્યાદિત સ્ત્રોત હોય છે મતલબ કે આર્થિક રીતે તેઓ નબળા હોવાથી રમત-ગમતમાં આગળ વધી શકતા નથી. આવા ખેલાડીઓની એક યાદી તૈયાર કરી જો મહાપાલિકા તેમને તૈયાર કરવાનો ખર્ચ ઉઠાવે તો કમિશનરનો આ પરમાર્થ સાર્થક થયો ગણાશે. આ ઉપરાંત મહાપાલિકા હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ રમત-ગમતમાં આગળ લાવવા માટે તંત્ર જહેમત ઉઠાવી શકે છે. આ માટે તેમણે કોઈ જ વધુ ખર્ચ કે અન્ય કસરત કરવાની જરૂર રહેશે નહીં. માત્રને માત્ર હાલ જેટલા રમત-ગમતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેમાં જો આગવો કોચ રાખીને ખેલાડી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે તો પણ ઘણો ફાયદો થઈ શકે તેમ છે. મહાપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો પાછળ ઘણો બધો ખર્ચ કરે છે ત્યારે રાજકોટના રમતવીરો પાછળ જો થોડો-વધુ ખર્ચ કરે તો તે એળે નહીં જાય તેમ કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી આમ છતાં જો તંત્રને આર્થિક મુશ્કેલી નડતરરૂપ બને તો તેઓ વિવિધ ઉદ્યોગપતિઓનો સહકાર પણ લઈ શકે છે. બાકી, રમત-ગમતના નિષ્ણાતો તેમજ એકેડેમી સંચાલકો સાથે બેઠક કર્યે કશો ફાયદો થાય તેવું હાલ લાગી રહ્યું નથી કેમ કે તેમાં માત્રને માત્ર સ્વાર્થની જ વાતો થયા રાખશે.
