હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
રાજ્યની 32230 શાળાઓના અંદાજે 38.50 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનની સાથે સપ્તાહમાં એક વખત અપાતી સુખડી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે ભોજન ઉપરાંત અપાતા નાસ્તાના મેનૂમાં પણ મોટો ફેરફાર કરાયો છે.
ગુજરાત સરકારે રાજ્યની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરતા સુખડી પીરસવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. “ફિટ ઇન્ડિયા” પહેલને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી રાજ્યની 32 હજારથી વધુ શાળાઓના અંદાજે 38.5 લાખ વિદ્યાર્થીઓ પર અસર પડશે.
સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પગલું કેન્દ્ર સરકારની “ફિટ ઇન્ડિયા” પહેલને અનુરૂપ લેવામાં આવ્યું છે, જેમાં બાળકોમાં સ્વસ્થ ખોરાકની આદતો વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. પોષણ યોજનાની સમીક્ષા કરતી સમિતિએ વિદ્યાર્થીઓના આહારમાં તેલ અને ચરબીનું પ્રમાણ ઘટાડવાની ભલામણ કરી હતી. જેના આધારે ઘઉંનો લોટ, ગોળ અને ઘીમાંથી બનેલી પરંપરાગત સુખડીને સાપ્તાહિક મેનુમાંથી દૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો:વ્યાજખોરીની ફરિયાદ-વાહવાહીનો ‘વરસાદ’: રાજકોટ પોલીસ દ્વારા આયોજિત જનસંપર્ક સભામાં રિક્ષાચાલક, સરપંચ, ધંધાર્થી સહિતનાએ ઠાલવી વ્યથા
ઉલ્લેખનીય છે કે, માર્ચ 2024માં શાળાના ભોજનનું પોષણ મૂલ્ય વધારવા માટે સુખડીને મેનુમાં સામેલ કરવામાં આવી હતી અને દર અઠવાડિયે એક વખત તે પીરસાતી હતી. બાદમાં નવેમ્બર 2024માં સરકારે ‘મુખ્યમંત્રી પોષણ અલ્પહાર યોજના’ શરૂ કરી, જેમાં વિદ્યાર્થીઓને વધુ વૈવિધ્યસભર પોષણ મળે તે માટે નવા નાસ્તા ઉમેરવામાં આવ્યા હતા.
હવે સુધારેલી યોજનામાં મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ ચાટ, બાજરી આધારિત સુખડી અને શાકભાજી ઉપમા જેવા વિકલ્પોને સ્થાન આપવામાં આવ્યું છે.અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બદલાવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વધુ સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર પ્રદાન કરવાનો છે, જેથી તેઓમાં સારી પોષણ આદતો વિકસે અને ફિટનેસ સ્તર સુધરે.
