હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં
રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેર તથા જિલ્લાના નાગરિકોને ઘરેલુ ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં GSPC(ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) અને ઘરેલુ ગેસનુ વિતરણ કરતી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકશે
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તરલીકૃત પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારા આદેશ, 2026 જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને રાજ્ય સરકાર અમલી બનાવાયેલા આ સુધારા આદેશની જાણકારી જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ આ બેઠકમાં આપી હતી.જે મુજબ રાજ્યના નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકશે, બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. અથવા સરકારી તેલ કંપનીઓ કે તેમના વિતરકો પાસેથી રીફીલ મેળવી શકશે નહીં.

PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ
PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે PNG ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં. PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

વધુમાં, જિલ્લામાં LPGનો કોઇપણ પ્રકારનો બિન જરૂરી સંગ્રહ(સ્ટોક) તથા કાળાબજારી ન થાય, ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે અત્રેથી ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.
જિલ્લા પુરવઠા અધિકારી સુચના મુજબ જિલ્લામાં અત્યાર સુધી હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા વગેરે જગ્યાઓ પર આકસ્મિક તપાસણી કરી અંદાજીત 150 જેટલી ઘરેલું LPGની બોટલ સીઝ કરવામાં આવેલ છે.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગર દ્વારા અપાતી વખતોવખતની સૂચનાઓ મુજબ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ તથા તેમના ગોડાઉન ખાતે ગેસની બોટલ નિયમાનુસાર આપવામાં આવે છે કે કેમ? અને કોઇપણ પ્રકારે બિન જરૂરી સંગ્રહ કે કાળાબજાર ન થાય તે રીતની સુચારુ વ્યવસ્થા માટે દરેક ગેસ એજન્સી તથા ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીને ફરજ પર મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત અત્રેથી તમામ OMCના અધિકારી તથા PNGના અધિકારી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમિક્ષા કરવામાં આવી રહી છે.રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.
હેલ્પલાઈન નંબર
રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો; LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે.
રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય…
