હવે કેશોદથી માત્ર 45 મિનિટમાં જ અમદાવાદ પહોંચી શકાશે : અમદાવાદ-કેશોદ વચ્ચે વિમાન સેવાનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ પ્રયત્નથી ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્યાંથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે, જ્યારે કેશોદથી બપોરે 13:15 વાગ્યે ફલાઈટ ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
અમદાવાદથી ક્યારે મળશે ફ્લાઇટ ?
અમદાવાદ-કેશોદ-દીવ વચ્ચે શરુ થતી આ ફ્લાઇટ અઠવાડિયાના મંગળવાર, ગુરુવાર અને શનિવારે કાર્યરત રહેશે. અમદાવાદથી આ ફ્લાઇટ સવારે 10:10 મિનિટે ઉપડશે જે સવારે 10:55 કલાકે કેશોદ પહોંચાડશે. ત્યારબાદ આ ફ્લાઇટ કેશોદથી દીવ માટે રવાના થશે. બાદમાં તે બપોરે 3:55 કલાકે દીવથી ઉપડી ફરી કેશોદ આવશે. ત્યાંથી બપોરે 4:20 મિનિટે ઉડાન ભરશે અને 5:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ
આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક “વાતાનુકૂલિત પીક-અપ બસ” સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવશે એમ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.