1 એપ્રિલથી ટેક્સના નવા નિયમો થશે લાગુ: ITR સમય મર્યાદા, STT અને TCS થશે ફેરફાર, જાણો કરદાતાઓ પર શું પડશે અસર?
1 એપ્રિલ 2026થી કરદાતાઓ માટે અનેક મહત્વપૂર્ણ નાણાકીય ફેરફારો અમલમાં આવવાના છે. કેન્દ્રીય બજેટ 2026માં રજૂ કરાયેલા આવકવેરા સુધારાઓ હવે નવા નાણાકીય વર્ષ 2026-27થી લાગુ થશે. સરકારનો દાવો છે કે, આ સુધારાઓનો હેતુ ટેક્સ સિસ્ટમને વધુ સરળ બનાવવો, પાલનની પ્રક્રિયા સરળ કરવી અને કરદાતાઓ પરનો પ્રક્રિયાગત બોજ ઘટાડવાનો છે.
આ ફેરફારોમાં નવો આવકવેરા કાયદો, ITR ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, TCS અને STT દરોમાં ફેરફાર, શેર બાયબેક ટેક્સની નવી પદ્ધતિ અને ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત દૂર કરવાનો સમાવેશ થાય છે.
એપ્રિલ 2026થી નવો આવકવેરા કાયદો 2025 અમલમાં આવશે, જે અત્યાર સુધી લાગુ રહેલા 1961ના આવકવેરા કાયદાને બદલી દેશે.સરકારના જણાવ્યા અનુસાર છેલ્લા છ દાયકામાં દેશની આર્થિક અને ટેકનોલોજીકલ પરિસ્થિતિમાં મોટા ફેરફારો થયા છે. તેથી ટેક્સ કાયદાને આધુનિક અને સરળ બનાવવા માટે નવી વ્યવસ્થા લાવવામાં આવી છે.જો કે આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે કે હાલના ટેક્સ દરો યથાવત રહેશે.
આ પણ વાંચો:‘પેટપૂજા’થી ટેક્સચોરી: સોફ્ટવેરનો ઉપયોગ કરનાર રેસ્ટોરન્ટસ સાણસામાં! રાજકોટનાં નાના રેસ્ટોરન્ટ, કેફે-5 સ્ટાર હોટેલને પણ મળી નોટિસ
ITR-3 અને ITR-4 માટે નવી સમયમર્યાદા
બજેટ 2026માં નોન-ઓડિટ કરદાતાઓ માટે ITR-3 અને ITR-4 ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે.જોકે અન્ય કેટેગરી માટેની સમયમર્યાદા યથાવત રહેશે,
ITR-1 અને ITR-2 – 31 જુલાઈ
ટેક્સ ઓડિટ કેસ – 31 ઓક્ટોબર.આ બદલાવથી કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા વધુ સમય મળશે.સુધારેલા ITR માટે વધુ સમય
સરકારે સુધારેલા આવકવેરા રિટર્ન (Revised Return) ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બરથી વધારીને 31 માર્ચ કરી છે.
જોકે 31 ડિસેમ્બર પછી રિટર્ન સુધારવા માટે વધારાની ફી ચૂકવવી પડશે. વિલંબિત રિટર્ન માટેની સમયમર્યાદા યથાવત રહેશે.
શેર બાયબેક ટેક્સની નવી પદ્ધતિ
1 એપ્રિલ 2026થી શેર બાયબેકમાંથી મળેલી રકમને હવે મૂડીલાભ (Capital Gain) તરીકે ગણવામાં આવશે.
અગાઉ આ આવકને ડિવિડન્ડ ગણવામાં આવતી હતી અને તેના પર લાગુ સ્લેબ મુજબ ટેક્સ લાગતો હતો. નવા નિયમથી રોકાણકારોની ટેક્સ ગણતરીમાં ફેરફાર આવશે.ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત હવે નહીંનવા નિયમો મુજબ ડિવિડન્ડ આવક સામે વ્યાજ ખર્ચમાં મળતી કપાત હવે બંધ કરવામાં આવી છે. અગાઉ કરદાતાઓ ડિવિડન્ડ આવક માટે લીધેલા લોન પર ચૂકવેલા વ્યાજમાંથી 20% સુધી કપાત મેળવી શકતા હતા, પરંતુ હવે આ સુવિધા દૂર થઈ ગઈ છે.
કરદાતાઓ પર શું પડશે અસર?
નવા આવકવેરા સુધારાઓથી ટેક્સ સિસ્ટમ વધુ સરળ બનવાની શક્યતા છે અને રિટર્ન ફાઈલિંગ માટે સમયમર્યાદા વધારવાથી કરદાતાઓને રાહત મળશે.પરંતુ બીજી તરફ શેરબજારમાં ટ્રેડિંગ કરતા રોકાણકારો માટે STT વધારો ખર્ચ વધારી શકે છે, જ્યારે ડિવિડન્ડ આવક પર વ્યાજ કપાત દૂર થવાથી કેટલાક રોકાણકારોને વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
