કુદરતની ક્રુરતાઃ માતા-પિતા બાદ હવે રાજકોટ સિટી બસ અકસ્માતમાં ભાઈ પણ ગુમાવી બહેન બની નોંધારી
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસ હડફેટે જે યુવકનું મૃત્યુ નિપજ્યું તેના પરિવાર પ્રત્યે કુદરતે જાણે ક્રુરતા જ દાખવી હોય તેવું લાગ્યા વગર રહેતું નથી. મોતને ભેટેલો ચિન્મય ઉર્ફે લાલો હર્ષદભાઈ ભટ્ટ (ઉ.વ.25 , રહે. હાથીખાના)ના પિતા હર્ષદભાઈનું ધૂળેટીના દિવસે જ મૃત્યુ નિપજ્યું હતું. આ અગાઉ ચાર વર્ષ પહેલાં તેના માતાનું કેન્સરને કારણે નિધન થયું હતું. આ પછી ભાઈ-બહેન એકલા રહેતા હતા.
ચિન્મય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરારઆધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો જ્યારે તેમના બહેન કોટક સ્કૂલમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.બહેનને પરિવારજનો લગ્ન કરી લેવા માટે કહેતા હતા પરંતુ તેનું કહેવું હતું કે જો તે લગ્ન કરી લેશે તો તેનો ભાઈ એકલો પડી જશે એટલા માટે જ પહેલાં પરણાવવાના ઓરમાન હતા પરંતુ ચિન્મયને કુદરતને તે મંજૂર ન્હોતું.
શું છે સમગ્ર ઘટના ?
રાજકોટ મહાપાલિકાની બસ સેવા એટલે શહેરના માર્ગો પર જાણે યમદૂતોના પાડા દોડતા હોય તેવુ બેફામ કે બેલગામ જેવી દોડતી બસો સમયાંતરે અકસ્માત સર્જતી રહે છે. બુધવારની સવાર રાજકોટ સિટી બસ નં.ઈ-52એ ચાર પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી. યુનિવર્સિટી રોડ પર ઇન્દિરા સર્કલ પાસે વાયુવેગે જાણે હવામાં ઉડાડતો હોય એ સ્પિડે ચાલકે બસ દોડાવતા માત્ર ચાર સેકન્ડમાં અર્ધો ડઝનથી વધુ વાહનોને ઠોકરે ચડાવી અસ્માતની હારમાળા સર્જી દીધી હતી. ચાર સેકન્ડના ગમખ્વાર અકસ્માતમાં ચાર-ચાર માનવ જીંદગીના પ્રાણ હરી લીધા હતા. ફિલ્મોમાં સર્જાતા દ્રશ્યો માફક હીટ એન્ડ રન જેવી વાસ્તવિક દુર્ઘટનાથી રોષે ભરાયેલા રાહદારીઓ ટોળાઓએ ચાલકને પણ બેરહેમીથી મેથીપાક આપી બસમાં તોડફોડ કરી હતી. પોલીસનો કાફલો ઉતરી આવ્યો હતો. ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરાયો હતો.
ચાર સેકન્ડમાં જ ચાર-ચાર વ્યક્તિનો જીવ હણી લેનાર સિટી બસના ચાલક તેમજ અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવારમાં સિવિલ હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની કરૂણતા તો એ છે કે માતેલા સાંઢ જેવી બેકાબૂ સિટી બસના કારણે પ્રાણ ગુમાવનારા વ્યક્તિઓમાં એક યુવકના પિતાનું હજુ એક માસ પૂર્વે જ મૃત્યુ નિપજ્યુ હતું અને બહેનની આવતા સપ્તાહે સગાઈ હતી. જ્યારે વિધવા નેપાળી સ્ત્રી
એકલી જીવન નિર્વાહ ચલાવતી હતી. રાજકોટ મહાપાલિકાના કર્મચારીએ માસૂમ પુત્ર તથા ભાણેજની નજર સામે જીવ ગુમાવ્યો હતો. ચાર-ચાર પરિવારનાં કરૂણ આક્રંદથી અને વ્રજઘાતના દ્રશ્યોથી હાજર સૌકોઈ માનવીઓના હૈયા હચમચી ઉઠ્યા હતા. યુનિવર્સિટી પોલીસે હાલ તો બસ ચાલક સામે ગુનો નોંધી હોસ્પિટલ પર પોલીસ પહેરો ગોઠવી દીધો છે.