નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રણ કલાક રોકાશેઃ ઉદ્યોગપતિઓ સાથે બેઠક
બે દિવસ ડઝનબંધ સેમિનાર અને ચર્ચા સત્ર યોજાશેઃ 11મીએ
મહેમાનો માટે અટલ સરોવર ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ
રાજકોટમાં અગામી તા. 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી રિજિયોનલ વાઈબ્રન્ટ સમિટ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. આ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હોવાથી તેને વાઈબ્રન્ટ ગુજરાત જેવું સ્ટેટ્સ મળી ગયુ છે. વડાપ્રધાન મોદી તા. 10મીએ રાજકોટ આવશે અને ત્રણેક કલાકનું રોકાણ કરશે તેવું ટોચના સુત્રોએ જણાવ્યું છે. વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
હાલમાં જે કાર્યક્રમ નક્કી થયો છે તે અનુસાર, આ વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 10મીએ ચાર વાગ્યે કરશે. આ સમારોહ લગભગ બે કલાક ચાલશે અને આ દરમિયાન વડાપ્રધાન સાથે મંચ ઉપર પાર્ટનર ક્નટ્રીના વડા ઉપરાંત દેશના અને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક પણ કરશે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં રોકાણ સંદર્ભે માહિતગાર કરશે. કલેકટર કચેરીના સુત્રો અનુસાર, તા. 10,11 અને 12ના કાર્યક્રમો ફાઈનલ થઇ ગયા છે અને પી.એમ.ઓ.ની મંજુરી પણ આવી ગઈ છે. આ સુત્રો અનુસાર, જે મહેમાનો વિદેશથી અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવી રહ્યા છે તેમના માટે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ અટલ સરોવર ખાતે 11મીએ સાંજે કરવામાં આવ્યું છે.
આટલી ઇવેન્ટ ફાઇનલ થઇ
તા.10 જાન્યુઆરીઃ બપોરે 4 વાગ્યાથી થી 5-30 વાગ્યા સુધી ઉદ્ઘાટન સમારોહ.
તા.11 જાન્યુઆરીઃ સવારે 11-30 થી 17-00 સુધી એગ્રી વેલ્યુ – ધ ઓઈલ સીડ્સ ઓપોર્ચ્યુનિટી વિષય ઉપર સેમિનાર, બિલ્ડીંગ અ ફ્યુચર-ફિશરીઝ સેક્ટર ઇન ગુજરાત- તક અને પડકાર વિષય ઉપર સેમિનાર, ઓન શોર અને નીયર શોર વિન્ડ વિષય ઉપર ચર્ચા, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજીયન અંગે ચર્ચા, હોર્ટીકલ્ચર ક્ષેત્રે નિકાસની સંભાવના, 2047 સુધીનું ગુજરાતનું બ્લ્યુ ઈકોનોમી ઉપરનું વિઝન, સિરામિકમાં શ્રેષ્ઠતા અને નિકાસ અંગે સેમિનાર, મીઠા ઉદ્યોગ, ધાર્મિક અને કોસ્ટલ ટુરીઝમ ઉપર સેમિનાર તથા કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમિક રીજીયન અંગે સેમિનાર.
આ પછી રાત્રે મહેમાનો માટે સાંજે 6-30 થી 9-30 સુધી અટલ સરોવર ખાતે રંગારંગ સંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં ગરબા અને સૌરાષ્ટ્રની ઝાંખી વગેરેનો સમાવેશ થાય છે.
તા.12 જાન્યુઆરીઃ સવારે 10-30 થી 12-30 દરમિયાન જુદા જુદા સેમિનાર હોલમાં ડીફેન્સ, ખાણ ખનીજ ક્ષેત્રે ક્રાંતિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સુધીની જર્ની, એમએસએમઈ ઉપર ચર્ચા, મેરીટાઇમ, બાંધણી ઉપર સેમિનાર, હેરીટેજ અને આર્કિયોલોજી ઉપર સેમિનાર, લોજીસ્ટીક ઉપર સેમિનાર, સ્વદેશીનો ઉદ્યોગોમાં ઉપયોગ ઉપર સેમિનાર તથા વિકસિત ગુજરાતમાં મહિલાઓની ભૂમિકા ઉપર સેમિનાર યોજાશે.
આ પછી 1 થી 2 દરમિયાન ઓડીટોરીયમમાં અંતિમ સત્ર યોજાશે અને ત્યાર બાદ બધા વિદાય લેશે.
