રાજકોટ TRP ગેઇમ ઝોન સામે બનશે મનપાની ફૂડ લેબોરેટરી : 10 દિવસમાં જ આવી જશે ખાણીપીણીમાં ભેળસેળનો રિપોર્ટ
રાજકોટના નાનામવા રોડ પર આવેલા TRP ગેઈમ ઝોન કે જ્યાં ભીષણ આગ લાગ્યા બાદ અત્યારે બધું વેરવિખેર અવસ્થામાં પડેલું છે તેની સામેના જ મહાપાલિકાના પ્લોટમાં ફૂડ લેબોરેટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ ખાણીપીણીનું એકદમ શોખીન હોવાને કારણે શહેરના દરેક વિસ્તારમાં અત્યારે નાની-મોટી હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ લો રેંકડીઓની ભરમાર જોવા મળી રહી છે જ્યાં સ્વાદશોખીનો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોય ભેળસેળનું પ્રમાણ પણ વધી ગયું છે. બીજી બાજુ કોઈ ખાદ્યપદાર્થમાં ભેળસેળ છે કે નહીં તેની ત્વરિત જાણકારી આ ફૂડ લેબોરેટરી આપી શકશે.

આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું કે વોર્ડ નં.10માં ટીપી સ્કીમ નં.20 (નાનામવા)ના ફાઈનલ પ્લોટ નં.29-એ કે જે પ્લોટ TRP ગેઈમ ઝોનની સામે જ આવેલો છે ત્યાં ફૂડ લેબોરેટરી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લેબોરેટરી માટે કેવું બાંધકામ તેમજ સુવિધા જોઈએ છે તે અંગે આરોગ્ય શાખાનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત લેબના નિર્માણ માટે એક અધિકારીની પણ નિમણૂક કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર આચર્યું દુષ્કર્મ : છૂટાછેડા કર્યા બાદ મૈત્રીકરાર કરીને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો

એકંદરે આ તમામ પ્રક્રિયા બે મહિનામાં પૂર્ણ થઈ ગયા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરાશે. જ્યારે ફૂડ સેફ્ટી ઓફિસર હાર્દિક મેતાએ જણાવ્યું કે આ લેબોરેટરી તૈયાર થઈ ગયા બાદ ફૂડના સેમ્પલનું પરિણામ ઝડપથી આવી શકશે. અત્યારે ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત ડ્રાઈવ કરીને અલગ-અલગ ખાણીપીણીના નમૂના લેવામાં આવી રહ્યા છે.

આ નમૂના વડોદરાની લેબમાં મોકલ્યા બાદ 90 અથવા તો 120 દિવસે તેનું પરિણામ આવે છે મતલબ કે ખાદ્યપદાર્થમાં ભેળસેળ છે કે નહીં તેનો ખ્યાલ ત્રણ અથવા ચાર મહિને થઈ રહ્યો હોય ત્યાં સુધીમાં નમૂના લીધેલા ખાદ્યપદાર્થનું ખૂબ જ વેચાણ પણ થઈ ચૂક્યું હોય છે. જો કે રાજકોટમાં લેબ બની ગયા બાદ રિપોર્ટ દસ દિવસમાં જ આવી શકશે સાથે સાથે વધુ સેમ્પલિંગ પણ કરી શકાશે.અત્યારે દર મહિને 30 જેટલા સેમ્પલ વડોદરા મોકલવામાં આવી રહ્યા છે. રાજકોટમાં લેબ શરૂ થયા બાદ સેમ્પલની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
આ પણ વાંચો : નોંધારાનો આધાર બન્યા રાજકોટ આસિ.કલેકટર મહક જૈન : રામપરા બેટી-પીપળીયા ગામના 66 બાળકોને જન્મના દાખલા આપી ભણતા કર્યા

જેથી ખાણીપીણીમાં ભેળસેળનું પ્રમાણ પણ અટકાવી શકાશે. પ્રારંભીક રીતે આ લેબમાં ત્રણેક કરોડના સાધનો મુકવામાં આવશે. આ ઉપરાંત સેમ્પલના પરિક્ષણ માટે અલગથી સ્ટાફની ફાળવણી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાના 2025-26ના નાણાકીય બજેટમાં રાજકોટમાં ફૂડ લેબોરેટરી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે હવે સ્થળની પસંદગી કરી લેવાયા બાદ આગળની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે.