બોર્ડ-નિગમમાં નિમણુંકની આશાએ કાર્યકરો-નેતાઓના ગાંધીનગરનાં આંટાફેરા
પહેલા દિલ્હીમાં અને પછી ગાંધીનગરમાં યોજાયેલી હાઈ-લેવલની બેઠકમાં થઇ ચર્ચા
નવરાત્રી દરમિયાન જ અથવા દિવાળી પૂર્વે જ ફેરફારોની શક્યતા
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલાકને સાચવી લેવાનો વ્યૂહ
છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના રાજકીય મોરચે ગરમાગરમી જોવા મળી રહી છે. એવી ચર્ચા જોરશોરથી થઇ રહી છે કે પક્ષના સંગઠનમાં ફેરફારો આવી રહ્યા છે એટલું જ નહી પણ બોર્ડ-નિગમમાં દિવાળી પહેલા નિમણુક કરવામાં આવી શકે છે. આ પ્રકારની ચર્ચાએ જોર પકડતા મહત્વનું સ્થાન મેળવવા માટે કાર્યકરો અને નેતાઓને ગાંધીનગરનાં આંટાફેરા શરુ કરી દીધા છે.
ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને દિલ્હીનું તેડું આવ્યું હતું અને હાઈકમાન્ડ સાથે આ બાબતે ચર્ચા પણ કરી હતી. હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી ગઈ કાલે રાત્રે ગૃહમંત્રી અમિત શાહે પણ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે ચર્ચા કરી હતી.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, હાઈકમાન્ડ સાથેની ચર્ચા દરમિયાન પ્રધાનમંડળનાં વિસ્તરણ બાબતે પણ ચર્ચા થઇ છે અને આ વિસ્તરણ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી શકે છે. આમ તો ઘણા સમયથી પ્રધાનમંડળનાં વિસ્તરણની અને બોર્ડ-નિગમમાં નિમણુંકની ચર્ચા ચાલી રહી છે પણ તેમાં દર વખતે મુદ્દત પડતી રહી છે. આવા સંજોગોમાં પક્ષમાં કેટલાક અંશે નારાજગી પણ જોવા મળતી રહી છે. હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપ ૨૬ બેઠકના વિજયની હેટ્રિક મેળવવા માંગે છે ત્યારે કાર્યકરોની નારાજગી પોસાય તેમ નથી. આથી હવે વિસ્તરણ અને બોર્ડ-નિગમમાં નિમણુંકનો મામલો હાથમાં લીધો હોવાનું અંદરખાને જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
ભલે આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ અંગે કોઈ નેતા ફોડ પાડવા તૈયાર નથી પણ બધાને લાગી રહ્યું છે કે, આ નવરાત્રી દરમિયાન અથવા દિવાળી પહેલા ગમે ત્યારે બોર્ડ-નિગમમાં નિમણુક થઇ શકે છે.