રાજકોટમાં વાયબ્રન્ટ સમિટમાં આવનારા ‘મોંઘેરા’ મહેમાનોને આ 7થી વધુ સ્થળે ફેરવાશે! કોઈને સોમનાથ-સાસણ જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરાશે
રાજકોટમાં 11 અને 12 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ સહિતના રાજકોટના `મહેમાન’ બનશે. આ તમામ મહેમાનોને રાજકોટમાં શું જોવા જેવું છે તેનાથી વાકેફ કરવા માટે શહેરના સાતથી વધુ ફરવાલાયક સ્થળો ઉપર લઈ જવામાં આવશે.
રાજકોટમાં ફરવાલાયક સ્થળોની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા ક.બા.ગાંધીનો ડેલો, ગાંધી મ્યુઝિયમ, સ્વામિનારાયણ મંદિર, અટલ સરોવર, રામપરા, પ્રદ્યુમન પાર્ક ઝૂ સહિતના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ તમામની જાણે કે કાયાપલટ જ કરી નાખવામાં આવી છે જેમાં તમામ સ્થળોની સાફસફાઈ ઉપરાંત ટોયલેટ-બાથરૂમ ચોખ્ખા-ચણાંક કરાયા છે તો ત્યાં સુધી પહોંચવા માટેના રસ્તા સરખા કરી દેવામાં આવ્યા છે સાથે સાથે ત્યાં પહોંચવા દરમિયાનના રૂટનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર જીવલેણ હુમલો કરનાર દર્દીના પરિચિત શખ્સ સામે FIR દાખલ: તબીબી આલમમાં ભારે રોષ
એકંદરે મહેમાનો રાજકોટથી સારી યાદગીરી લઈને જાય તે માટે તૈયારીમાં તંત્ર અત્યારે ઉંધા માથે થઈ જવા પામ્યું છે. આ ઉપરાંત રાજકોટથી અન્ય સ્થળો જેવા કે કોઈને સોમનાથ મંદિર કે સાસણ જવાનું થાય તો તેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે ક્યુઆર કોડના આધારે મહેમાનોને કાર, સ્થળ કેટલુ દૂર છે, કેટલીવારમાં પરત આવી શકાશે તે સહિતની માહિતી મળી રહે તેવી ગોઠવણ કરવા માટે હાલ કવાયત ચાલી રહી છે.
