લાખો રેશનકાર્ડ ધારકોને રાશન લેવા માટે અંગુઠામાંથી મળશે મુક્તિ! હવે QR કોડ આવશે,કાર્ડધારકને પોતાના ફોનમાં જ દેખાશે કે કેટલો જથ્થો મળશે
રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર છે. અત્યારે સસ્તા અનાજની દુકાને રાશન મેળવવા માટે અંગુઠાના નિશાન (થમ્બ પ્રિન્ટ) આપવાની બાયોમેટ્રિક સિસ્ટમમાંથી મુક્તિ મળશે. ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે દુકાન પરથી મળી જશે અનાજનો જથ્થો, સર્વર ડાઉન, થમ્બ પ્રિન્ટ ન આવતી હોવાના હો-હા, દેકારા કે આવી માથાફોડીમાંથી દુકાનદારોને પણ રાહત મળી શકશે. હાલ રાજ્યમાં ક્યુઆર કોડ સિસ્ટમ પ્રોજેક્ટનો અમદાવાદમાં આરંભ કરાયો છે જે રાજ્યભરમાં થોડા સમય બાદ અમલી બનશે તેવું જાણવા મળે છે.
સસ્તા દરનું અનાજ મેળવવા માટે કાર્ડધારકોએ દુકાનો પર થમ્બ ઈમ્પ્રેશન (અંગુઠાનું નિશાન) આપવાનું હોય છે ત્યારબાદ જ અનાજનો જથ્થો દુકાનદાર આપી શકે. સર્વર ડાઉન હોવાથી અને ખાસ તો મોટી ઉંમરના વ્યક્તિ-કાર્ડધારકોને ફિંગરપ્રિન્ટ સમયાંતરે બદલાઈ કે ઘસાઈ જતાં હોવાથી દુકાનો પર પ્રિન્ટ આવે નહીં અને દુકાનદારો તથા કાર્ડધારકો વચ્ચે લપઝપ પણ થતી રહેતી.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગ કાર્ડ સિસ્ટમમાં ડિજિટલ સિસ્ટમ વધુ અપગ્રેડ કરી હવે ક્યુઆર કોડ સ્કેન અમલી બનાવવા તરફ આરંભ કર્યો છે. રેશનિંગ કાર્ડ ધારક અનાજ લેવા જાય ત્યારે ક્યુઆર કોડ દુકાન પર સ્કેન કરે એટલે દુકાન પરથી જથ્થો મળી જશે. સર્વર ડાઉન, ફિંગરપ્રિન્ટ ન આવવા, લાઈનમાં ઉભા રહેવા જેવી બાબતોમાં મુક્તિ મળશે. રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ક્યુઆર કોડ સિસ્ટમ અમલી બનાવવાની પહેલ છે એ સારી બાબત છે પરંતુ ક્યારેક તો રાશન અનાજનો જથ્થો જ દુકાનો પર સમયસર કે પુરતી માત્રામાં પહોંચતો ન હોવાથી ક્યુઆર કોડ આવશે તો પણ જો અનાજ જ નહીં પહોંચ્યું હોય તો દુકાનદાર શું વિતરણ કરશે કે રાશનકાર્ડ ધારકને શું મળશે ? ધક્કા ન થાય તે માટે રાશન પણ પુરતા પ્રમાણમાં સમયસર પહોંચી જાય તે વ્યવસ્થા વધુ મજબૂત કે સુદૃઢ કરવાની જરૂર છે.
આ પણ વાંચો :રાજકોટમાં PM મોદીનો રોડ શો કેન્સલ: ડે.સીએમ હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક,તૈયારીઓની સમીક્ષા
જેની પાસે સ્માર્ટ ફોન ન હોય તેમના માટે મુશ્કેલી
સરકારના પુરવઠા તંત્ર દ્વારા ડિજિટલ સિસ્ટમ હેઠળ ક્યુઆર કોડ લાવવાની કવાયત છે તે માટે રાશનકાર્ડ ધારક પાસે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે. રાજ્યમાં અસંખ્ય એવા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો કે રાશન કાર્ડ હશે. આવા અત્યંત ગરીબ લોકો પાસે સ્માર્ટ ફોન પણ ન હોય અને ઓપરેટ કરતા પણ ન ફાવે આવા અસંખ્ય રાશન કાર્ડ ધારકો માટે તો ક્યુઆર કોડ વિટંબણા જ બની રહેશે. ખરેખર સારા કે પારદર્શિતા માટેના પગલાંમાં આવા સાવ ગરીબો અને મોબાઈલથી અજ્ઞાન લોકોને મુશ્કેલી ન ઉદ્ભવે તે તરફ પણ વિચારવું જરૂરી બની રહે.
કાર્ડધારકને પોતાના ફોનમાં જ દેખાશે કે કેટલો જથ્થો મળશે
રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ડિજિટલ સાથે સિસ્ટમ વધુ પારદર્શક બનાવવા માટેની ક્યુઆર કોડ સિસ્ટમ અમલી બનવાથી લાભાર્થીઓને લાભ મળશે. લાભાર્થીને તેમના મોબાઈલ ફોનમાં જ દેખાશે કે તેમને કેટલો, ક્યો અનાજનો જથ્થો મળશે ? મહિનાની પ્રથમ તારીખે જ રેશન કાર્ડધારકને મોબાઈલ વોલેટમાં અનાજ માટેનું ડિજિટલ કુપન ઓટોમેટિક જમા થશે. રેશનકાર્ડ ધારક દુકાન પર જાય કોડ સ્કેન કરે એટલે તેમને મોબાઈલ ફોનમાં એ સમયે જ રિસિપ્ટ પણ મળી જશે. ફોનમાં એ માહિતી પણ આવશે કે રેશન કાર્ડધારકને અનાજ આપવામાં સરકારને કેટલો ખર્ચ થાય છે અને કાર્ડ ધારકને કેટલી સબસિડી મળે છે. આ પ્રોજેક્ટ અત્યારે અમદાવાદ સાબરમતી ઝોનમાં અમલી કરાયો હોવાનું જાણવા મળે છે. ક્યુઆર કોડ સિસ્ટમ માટે કાર્ડ ધારકે માય રાશન એપમાં જઈને સૂચના મુજબ કોડ ડાઉનલોડ કરવાનો રહેશે.
