જામનગરમાં રખડતાં ઢોરની અડફેટે પરપ્રાંતીય શ્રમિકનું મોત, પરિવારે કર્યું અંગદાન : વિશેષ કોરિડોરમાં અંગો અમદાવાદ લવાયા
ઘણીવાર આપણાં પરિવારના સભ્યો સાથે અઘટિત બનાવ બની જતાં હોય છે જે અનિચ્છનીય અને અકલ્પનીય હોય છે. ત્યારે આવો જ કિસ્સો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે જેમાં પરપ્રાંતીય આધેડને રખડતાં ઢોરે અડફેટે લેતા તેને બ્રેનહેમરેજ થયા બાદ ડૉક્ટર દ્વારા બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પરિવાર દ્વારા માનવતાની મિસાલ ઊભી કરે તેવો અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરિવારના આ માનવતાસભર નિર્ણયથી અનેક લોકોને નવું જીવનદાન મળશે. ત્યારે ચાલો આ બાબતે વિગતવાર માહિતી મેળવીયે.

શું છે સમગ્ર ઘટના ??
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર જોગવડ ગામ નજીક એક કરુણ ઘટના બની હતી. જ્યાં એક પુત્રને મળવા આવેલા પિતા મૃત્યુ પામ્યા હતા. બિહારના સમસ્તિપૂરના વતની મહેશકુમાર શાહ (ઉંમર 47) પોતાના પુત્ર મનીષ (ઉંમર 22)ને મળવા જામનગર આવ્યા હતા. મોટી ખાવડી વિસ્તારમાં એક ખાનગી પેટા કોન્ટ્રાક્ટર કંપનીમાં કામ કરતા પુત્રને મળવા આવ્યા હતા ત્યારે 18મી માર્ચના રોજ બે ખૂંટિયા બાખડતા જેની અડફેટે એક પ્રાંતિય મહેશકુમાર શાહ આવ્યા હતા . તેમને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જે બાદ શ્રમિકના પરિવાર દ્વારા અંગદાન કરવાની જાહેરાત થઈ હતી.ત્યારબાદ અમદાવાદથી દોડી આવેલી સ્પેશિયલ તબીબોની ટીમે શ્રમિકનું ઓપરેશન કરીને તેના જીવિત અવસ્થામાં રહેલા અંગોને એકત્ર કર્યા હતા અને સ્પેશિયલ કોરિડોર બનાવી ચાર્ટર ફ્લાઈટથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.
પરિવારે કર્યું અંગદાન
ઢોરે અડફેટે લેતા મહેશકુમારને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી ત્યારે લોહીલુહાણ હાલતમાં તેમને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે તબીબ અને તેમની ટીમે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે તેના દ્વારા અન્ય લોકોને જીવનદાન મળી શકે છે ત્યારે આ બાબતે સમગ્ર પરિવારજનોએ સહમતિ દર્શાવી હતી, અને બ્રેન્ડેડ જાહેર થયેલા ઉમેશ કુમારના કિડની, લીવર સહિતના અંગોનું દાન કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા
શુક્રવારે (28મી માર્ચ) મોડી રાત્રે આ નિર્ણય લેવાયા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી ટીમ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલના સંપર્ક સાધવામાં આવ્યો હતો. અંગેનું દાન કરવા નિર્ણય લેવાયા બાદ અમદાવાદથી સમગ્ર તબીબોની ટીમ વહેલી સવાર સુધીમાં જામનગર પહોંચી હતી. શનિવારે (29મી માર્ચ) વહેલી સવારે ઉમેશકુમારને તેમના પરિવારની હાજરીમાં ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા, અને એક પછી એક તેમના અંગોને કાઢી લેવામાં આવ્યા હતા.
વિશેષ કોરિડોર બનાવવા પોલીસની મદદ લેવામાં આવી
અંગદાન કરવા માટે પરિવારની સંમતિ બાદ તેમના અંગને કાઢી લેવામાં આવ્યા અને અમદાવાદ લઈ જવા માટે એક વિશેષ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલથી જામનગરના એરપોર્ટ સુધીના માર્ગે વિશેષ કોરિડોર બનાવીને સ્પેશિયલ એમ્બ્યુલન્સ મારફતે તમામ અવયવોને એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યાંથી ચાર્ટર પ્લેનમારફતે અમદાવાદ પહોંચ્યા બાદ અમદાવાદમાં નિર્ધારિત અન્ય દર્દીઓ ની જરૂરિયાત પ્રમાણેના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.