મેઘરાજા રિટર્ન : હાથિયો નક્ષત્રમાં કરશે તોફાની બેટિંગ, આ તારીખથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 27મીથી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરી છે સાથે જ તા.30 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ દે ધનાધન વરસાદ વરસવાની આગાહી કરી છે. જોગાનુજોગ તા.27મીથી હસ્ત એટલે કે, હાથિયો નક્ષત્રનો પણ પ્રારંભ થતો હોય મેઘરાજા રિટર્ન જેવી સ્થિતિ જોવા મળશે. જો કે, ગુરુવારે રાજ્યમાં તોફાન પહેલાની શાંતિની જેમ માત્ર 14 તાલુકામાં એકથી 9 મીમી વરસાદ જ વરસ્યો હતો.
રાજ્યમાં ઓણસાલ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ છે ત્યારે આ ઘટ પૂર્ણ કરવા માટે મેઘરાજા ફરી ધમાકેદાર એન્ટ્રી કરવા સજ્જ બન્યા છે, આગામી તા.27મીથી હાથિયો નક્ષત્ર બેસી છે અને જોગાનુજોગ તા.27થી જ હવામાન વિભાગે આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 30મીથી વરસાદનું જોર વધશે અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પાંચ વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટથી મુંબઈની એર ઇન્ડિયાની સવારની ફલાઇટ 1.ઓક્ટો.થી થશે શરૂ, જાણો ટાઈમ શેડ્યૂલ
દરમિયાન ખાનગી હવામાન એજન્સી દ્વારા સૌરાષ્ટ્રમાં આગામી 30મી બાદ મેઘરાજા ધમાકેદાર રી એન્ટ્રી કરી ધબધબાટી બોલાવે તેમ હોવાનું અને વરસાદનો આ રાઉન્ડ આગામી તા.7 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેમ હોવાની શક્યતા દર્શાવી છે. બીજી તરફ ગુરુવારે રાજ્યમાં મેઘવિરામ જેવી માત્ર 14 એકથી નવ મીમી વરસાદ વરસ્યો હતો જેમાં નવસારીમાં 9, અમરેલીના રાજુલામાં 8, દ્વારકાના ખંભાળિયામાં 4, રાજકોટના જેતપુર અને 3-3 મીમી વરસાદ વરસ્યો હોવાના આંકડા સામે આવ્યા છે.
