અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થશે અનેક ખુલાસા : ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા મળ્યો
અમદાવાદમાં 12 જૂનના રોજ વિમાન દુર્ઘટના સર્જાઇ હતી જેમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ જતાં ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણી સહિત 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તેનું કારણ જાણવા હાલ તપાસ ચાલુ છે ત્યારે આ અકસ્માતની તપાસ કરી રહેલા એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને મોટી સફળતા મળી છે. સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) ને પ્લેનના બ્લેક બોક્સમાંથી સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે, તેમનો ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને હવે તેમનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. આ બંને રેકોર્ડર પ્લેન અકસ્માતોની તપાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બ્લેક બોક્સનો ડેટા રેકોર્ડ
કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા હતા. આમાંથી, CVR 13 જૂન, 2025ના રોજ અકસ્માત સ્થળ પરની ઇમારતની છત પરથી અને બીજું 16 જૂન, 2025ના રોજ કાટમાળમાંથી મળી આવ્યું હતું. તેમના સલામત સંચાલન, સંગ્રહ અને પરિવહન માટે માનક સંચાલન પ્રક્રિયાઓ જારી કરવામાં આવી હતી. સાધનોને અમદાવાદમાં ચોવીસ કલાક પોલીસ સુરક્ષા અને સીસીટીવી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : જ્યાં ન જાય સ્કૂલ, ત્યાં પહોંચે ‘ઉમ્મીદ’ પ્રોજેકટ : બાંધકામ સાઇટ પર રહેતાં બાળકોને ભણાવીને ઉજ્જવળ જીવનનો પાયો ઘડે છે શિક્ષારથ
બ્લેક બોક્સમાંથી શું મળ્યું?
બ્લેક બોક્સ 24 જૂને અમદાવાદથી દિલ્હી લાવવામાં આવ્યું હતું, જ્યાં તેને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોની લેબોરેટરીમાં ખોલવામાં આવ્યું હતું. આ પછી, ક્રેશ પ્રોટેક્શન મોડ્યુલ (CPM) ને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યું હતું. તેની મેમરી સફળતાપૂર્વક એક્સેસ કરવામાં આવી હતી અને ડેટા ડાઉનલોડ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિમાન દુર્ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ બચી શક્યો હતો.
CVR અને FDR શું છે?
CVR (કોકપીટ વોઇસ રેકોર્ડર) છે, તે પાઇલટ્સની વાતચીત અને કોકપીટના અવાજો રેકોર્ડ કરે છે, જેનો ઉપયોગ અકસ્માત પહેલાની પરિસ્થિતિ શું હતી તે જાણવા માટે થઈ શકે છે.
FDR શું છે?
FDR (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) છે, તે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ, દિશા અને અન્ય તકનીકી માહિતી રેકોર્ડ કરે છે.
તપાસનો હેતુ શું છે?
– CVR અને FDR પાસેથી મળેલી માહિતીના આધારે, અકસ્માત પહેલાની ઘટનાઓના સમગ્ર ક્રમને ફરીથી સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
– વિશ્લેષણમાં જાણવા મળશે કે શું ટેકનિકલ ખામી, પાઇલટની ભૂલ કે કોઈ બાહ્ય કારણ અકસ્માત પાછળ હતું.
– તેનો હેતુ હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવાનો છે.