‘તગડો પગાર મળે છે, લાંચ ન આપવી’ના બોર્ડ લગાવી વાહવાહી મેળવનારા આવાસ વિભાગના જડ વલણને કારણે અત્યારે અનેક પરિવાર ક્વાર્ટર વગરના!
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે અલગ-અલગ આવાસ યોજના બનાવવામાં આવી છે. અન્ય શહેરોની તુલનાએ રાજકોટમાં આજની તારીખે હજારોની સંખ્યામાં આવાસ ખાલી પડેલા છે તે વાતનો ઈનકાર કોઈ ન કરી શકે. વળી, થોડા સમય પહેલાં આવાસના ફ્લેટ ફાળવવાની જવાબદારી જેના હાથમાં છે તે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાર્યરત આવાસ વિભાગની બહાર એવા બોર્ડ લાગ્યા હતા કે `તગડો પગાર મળે છે, લાંચ ન આપવી.’ આ બોર્ડ વાંચી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની `ઈમાનદારી’ના ચારે બાજુ વખાણ પણ થયા હતા.
જો કે હવે આ જ વિભાગના અમુક અધિકારીઓના જડ વલણને કારણે અનેક પરિવારને ફ્લેટ લાગ્યો હોવા છતાં તેઓને તેમાં રહેવા જવાનું `નસીબ’ થયું નથી ! એક મહિલાએ પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે તેનું સંતાન ઓટિઝમની બીમારીથી ગ્રસ્ત છે. તેઓ મહાપાલિકાની જ એક શાળામાં વર્ગ-4ના કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તેમણે નિયમ પ્રમાણે આવાસ યોજના હેઠળ ફ્લેટ મેળવવા અરજી કરી હતી અને તેમને ફ્લેટ લાગ્યો પણ હતો. જો કે ડોક્યુમેન્ટ રજૂ કરતી વખતે જ્ઞાતિનો દાખલો પોતાની જગ્યાએ પતિના નામનો આપી દેતાં એક ઝાટકે આ આવાસ રદ થઈ જશે તેવી ચેતવણીઓ આપવામાં આવતાં તેઓ છેલ્લા ચાર મહિનાથી મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અલગ-અલગ કોર્પોરેટર સહિતને રજૂઆત કરી રહ્યા છે છતાં નિરાકરણ આવતું નથી. આવું તેમના એક સાથે નહીં પરંતુ અનેક લોકો સાથે બન્યું છે. આ અંગે પદાધિકારીઓએ તપાસ કરી તો એવો ખ્યાલ આવ્યો કે વિભાગ ધારે તો આ નિયમમાં ફેરફાર કરી શકવાની સત્તા ધરાવે છે પરંતુ ખબર નહીં આ વિભાગને લોકો હેરાન થાય તેમાં આનંદ આવી રહ્યો હોય તે પ્રકારે ફેરફાર કરી રહ્યો જ નથી. હાલ તો આ મામલો મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પહોંચ્યો છે ત્યારે આશા રાખીએ કે કંઈક `રસ્તો’ નીકળે અને લોકોને ઘરનું ઘર મળે…!!
‘ભાઈસા’બ હવે પોસ્ટીંગ થાય તો સારું’ની પ્રાર્થના કરી રહેલા `વેઈટિંગ ફોર પોસ્ટીંગ’ પીઆઈએ બહુ રાહ જોવી નહીં પડે !
નવેક મહિના પહેલાં ગૃહ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યના અનેક પીએસઆઈને પીઆઈનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. જો કે ભગવાન જાણે પ્રમોશન મેળવનારા પીઆઈને અન્ય શહેર-જિલ્લામાં પોસ્ટીંગ આપવાની જગ્યાએ મુળ સ્થાને રાખી મુકવામાં આવ્યા હતા. પ્રમોશન મેળવેલા પીઆઈ જ્યારે મળે ત્યારે તેમના મોઢામાંથી એક વાત તો નીકળે નીકળે અને નીકળે જ કે ભાઈસા’બ હવે પોસ્ટીંગ થાય તો સારું…વળી, આ અધિકારીઓ દરરોજ સવારે ભગવાનને પ્રાર્થના પણ અચૂક કરતાં જ હશે જે હવે ફળે તેવું લાગી રહ્યું છે. વધુમાં વધુ એક સપ્તાહની અંદર પ્રમોશન મેળવેલા પીઆઈ સહિત ચાર વર્ષથી એક જ જગ્યાએ રહેલા પીઆઈની બદલીઓ આવી રહ્યાની `કાનાફૂસી’ અધિકારીઓમાં જ સાંભળવા મળી હતી. સરકાર દ્વારા આમ તો ત્રણ વર્ષથી એક જ જગ્યાએ રહેલા પીઆઈની જિલ્લાફેર બદલી કરવામાં આવશે તેવી વાત હતી પરંતુ આ પ્રમાણે બદલી કરવા જાય તો 500થી વધુ પીઆઈને બદલવા પડે તેમ હોવાથી હવે ત્રણ નહીં પરંતુ ચાર વર્ષથી એક જગ્યાએ હોય તેવા પીઆઈની બદલી કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે. જ્યારે ત્રણ વર્ષનો `દાયરો’ આ વર્ષના અંતમાં અમલી બનશે તેવું હાલ લાગી રહ્યું છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો એક સપ્તાહમાં બદલીઓ આવી જશે. રાજકોટના અધિકારીઓ પણ હાલ આ બદલીઓની કાગડોળે રાહ જોઈ રહ્યા છે કેમ બદલીઓ આવ્યા બાદ જ રાજકોટ પોલીસ વિભાગમાં પણ પીઆઈની આંતરિક બદલીઓનું લિસ્ટ બહાર પડે તેમ છે !
આ પણ વાંચો :ટીમ ઈન્ડિયા બની ‘સિક્સર કિંગ’: ન્યુઝીલેન્ડ સામે પાંચ મેચમાં ઝૂડ્યા 69 છગ્ગા,મોટો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો
`પહેલાં જૂની યોજના પૂરી કરો પછી બજેટ હાથ પર લેશું’ના નિર્ણયે મહાપાલિકાના બજેટને પાછળ ઠેલ્યું, હવે કોણ ઝૂકે એ જોવું રહ્યું…!!
સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર વર્ષે 2 ફેબ્રુઆરી આસપાસ મહાપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દેવામાં આવતું હોય છે. આ વર્ષનું બજેટ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે પરંતુ આજે એટલે કે 2 ફેબ્રુઆરીએ તે જાહેર થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી ત્યારે બજેટ પાછળ ઠેલાવા પાછળ સૌથી મોટું જો કારણ જવાબદાર હોય તો તે શાસકો દ્વારા લેવાયેલો નિર્ણય છે. શાસકો દ્વારા એક સપ્તાહ પહેલાં જ અધિકારીઓ સાથેની બેઠકમાં સાફ સાફ સંભળાવી દેવામાં આવ્યું હતું કે ગત વર્ષે અમે એટલે કે શાસકોએ જાહેર કરેલી યોજનાઓ પૂરી મતલબ ટેન્ડર કરો પછી જ નવું બજેટ અમે હાથ ઉપર લેશું…આ વાત બાદ અધિકારીઓ ટેન્ડર પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં વ્યસ્ત બની ગયા હતા અને અમુક યોજનાઓના ટેન્ડર પણ કરી દીધા છતાં હજુ સુધી શાસકોએ જેમ કહ્યું હતું તેમ તમામ યોજનાના ટેન્ડર પ્રસિદ્ધ ન થતાં બજેટની જાહેરાત અટકી ગઈ હોવાની `કાનાફૂસી’ અધિકારીઓમાં સાંભળવા મળી રહી હતી. હવે આ મુદ્દે કાં તો શાસકોએ કાં તો અધિકારીઓએ ઝૂકવું જ પડશે અન્યથા બજેટ પાછળ ઠેલાતું જ જશે અને શાસકોને પણ ચૂંટણી પહેલાં મ્યુ.કમિશનર દ્વારા તૈયાર કરાયેલા `બ્લેક એન્ડ વ્હાઈટ’ બજેટમાં કલર પૂરવાની તક ઓછી રહેશે. આજે સોમવારે બજેટની જાહેરાતની તારીખ નક્કી થઈ શકે છે.
`ક્રાઈમ બ્રાન્ચ કચેરીનાં ફરજિયાત દર્શન’ને કારણે `સેટિંગ’માં મહદ અંશે લાગી બે્રક…!!
છેલ્લા ઘણા સમયથી રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં જાહેરમાં બખેડો કરનાર અલેલટપ્પુઓ મતલબ કે ટપોરીઓ, ગુંડાતત્ત્વોને જામનગર રોડ પર આવેલી ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ લાવીને `ફિટનેસ સેન્ટર’માં ફિટનેસ માપવાનું શરૂ કરવામાં આવતાં લોકોને રંજાડનારા તત્ત્વોમાં તો ખૌફ ફેલાઈ જ ગયો છે સાથે સાથે અમુક પોલીસ મથકમાં પણ નિરાશા વ્યાપી જવા પામી છે ! આવું એટલા માટે કેમ કે અત્યાર સુધી આવા તત્ત્વો જાહેરમાં ડખ્ખો કરી હથિયારનો છૂટથી ઉપયોગ કરે એટલે તેમના સામે ગુના તો દાખલ થતાં હતા પરંતુ તેમને સામેથી હાજર થવાની `સગવડ’ કરી આપવાનો ખરાબ રેકોર્ડ પણ અમુક પોલીસ મથકના નામે નોંધાતો હતો. આવા તત્ત્વો સામે ગુનો દાખલ થાય એટલે સૌથી પહેલાં જે-તે પોલીસ મથકમાં `છેડા’ શોધવાનું કામ શરૂ થતું અને `છેડો’ મળી જાય એટલે તેના થકી હાજર થઈ જામીન ઉપર છૂટી જવામાં આવતું હતું પરંતુ સમય સમય બળવાન હોય તે પ્રકારે હવે આવા લુખ્ખાઓ સામે ગુનો દાખલ થાય અને તેઓને પોલીસ મથક દ્વારા પકડવામાં આવે અથવા તો સામેથી હાજર થાય એટલે તેમને ફરજિયાત ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં લાવવામાં આવે છે અને વ્યવસ્થિત ટ્રિટમેન્ટ પણ કરવામાં આવતી હોવાથી અત્યારે મહત્તમ પોલીસ મથકમાં આ પ્રકારની `વ્યવસ્થા’ બંધ કરી દેવામાં આવી હોવાની `કાનાફૂસી’ સાંભળવા મળી હતી કેમ કે દરેક ગુનેગાર પોતાની `ટ્રિટમેન્ટ’ ન થાય તેવી ગણતરીએ જ હાજર થતો હોય છે અને બાહેંધરી પણ મેળવતો હોય છે પરંતુ પાછલા થોડા સમયથી જે પ્રકારે ગુનેગારોની સરભરા થઈ રહી છે તેને ધ્યાનમાં રાખી આ પ્રકારની બાહેંધરી આપવી મોંઘી પડી જતી હોય કાયદા પ્રમાણે જ બધું કામ કરવા મજબૂર બનવું પડ્યું છે.
મહાપાલિકામાં `થપ્પડ કી ગુંજ’ને કોણે શાંત કરી દીધી ? કોઈ બોલવા જ તૈયાર નથી થતું…!
વોર્ડ નં.18માં પેવિંગ બ્લોક પાથરવા મુદ્દે ડેપ્યુટી ઈજનેરની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર ધવલ ગોલાણિયાને કોન્ટ્રાક્ટર મનિષ વેકરિયા દ્વારા ફડાકા મારવામાં આવ્યા હતા. આ પછી ઈજનેરોએ ટોળે વળી વિરોધ પણ નોંધાવ્યો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા ફડાકા મારનાર મનિષ વેકરિયાની એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે આજે મંગળવારેઆ ઘટનાને 28 દિવસ વીતી જવા છતાં એજન્સી કે તેના સંચાલકનો વાળ વાંકો થયો નથી ત્યારે થપ્પડ કી ગુંજને કોણે શાંત કરી દીધી ? શું કોન્ટ્રાક્ટરનો કોઈ વાંક ન્હોતો એવું બન્યું હતું કે પછી ઈજનેરને સમજાવી દેવામાં આવ્યા હશે ? શું કોઈ રાજકારણીએ આ વિવાદને ઠારવા માટે ફાયરબ્રિગેડની ભૂમિકા ભજવી કે પછી બીજું કોઈ કારણ હશે ? હાલ તો આ સવાલ દરેક કર્મચારીઓ પૂછી રહ્યા છે પરંતુ સચોટ જવાબ ક્યાંયથી મળી રહ્યો નથી !
