45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત
રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા વર્ધમાનનગર શેરી નં.2માં મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બુધવારે રાત્રે આગ ફાટી નીકળતાં માતા-પુત્રના ગુંગળાઈ જવાને કારણે મોત નિપજ્યા હતા. આ ઘટના બન્યા બાદ ફરી સરકાર દ્વારા નિયમમાં કરાયેલી બાંધછોડ પ્રશ્નાર્થ હેઠળ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નેશનલ બિલ્ડિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નામની પોલિસી અમલી બનાવી હતી જેમાં 15 મીટર (45 ફૂટ)થી નીચેના બિલ્ડિંગ માટે પણ ફાયર એનઓસી લેવું ફરજિયાત હોવા સહિતના નિયમ સામેલ હતા. જો કે આ નિયમનો રાજકોટ સહિત ગુજરાતમાં ક્યાંય પણ અમલ થતો ન હોવાથી 45 ફૂટ ઉંચા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નામે કશું જ વસાવાતું ન હોવાથી આ પ્રકારની આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ માત્રને માત્ર આગ બુઝાવવા સિવાય કશું કામ કરી શકતી નથી.
હવે મહાપાલિકા આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરી 45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે પણ ફાયર એનઓસી ફરજિયાત કરવું જોઈએ તેવી રજૂઆત કરશે. હાલના નિયમ પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર+4 માળનું બિલ્ડિંગ હોય એટલે તેને ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવાની જરૂરિયાત રહેતી ન હોવાથી બિલ્ડિંગ દ્વારા ફાયર સેફ્ટી માટે કશી જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ગ્રાઉન્ડ ફ્લોર+5 માળનું બિલ્ડિંગ હોય તો તેના માટે ફાયર એનઓસી ફરજિયાત બની જાય છે.
એકંદરે સરકાર દ્વારા ચાર માળના બિલ્ડિંગને જે પ્રકારની `છૂટ’ આપવામાં આવી છે તે ખૂબ જ જોખમી સાબિત થાય તેમ હોવાની રજૂઆત પણ કરવામાં આવશે સાથે સાથે એનઓસી લેવું ફરજિયાત કરવામાં આવે તો તમામ બિલ્ડિંગે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા જ પડશે જેના કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં બિલ્ડિંગધારકો દ્વારા જ મહદ અંશે આગને કાબૂમાં લઈ શકાય સાથે સાથે જાનહાની પણ ટાળી શકાય તેમ છે. જો આ નિયમ અમલી નહીં બને તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવા સિવાય બીજી કોઈ જ કાર્યવાહી કરવાની રહેશે નહીં તે પણ વાસ્તવિક્તા છે.
ફ્લેટમાં પીવીસીનું ફર્નિચર ખૂબ જ જોખમી: ક્ષણભરમાં આગ પકડી ધૂમાડો ઓકે છે
ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અત્યારે મહત્તમ ફ્લેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયેલુ ફર્નિચર બનાવવામાં આવે છે જે ખૂબ જ જોખમી ગણાય છે. આ પ્રકારનું ફર્નિચર હોય તેવા ફ્લેટ કે ઓફિસમાં આગ લાગે ત્યારે ક્ષણભરમાં આગ પકડી એકદમ ઝેરી ધૂમાડો ઓકવાનું શરૂ કરી દે છે જેના કારણે શ્વાસ રૂંધાઈ જાય છે અને વ્યક્તિનું સ્થળ પર જ ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ નિપજે છે. આ ઉપરાંત ઉનાળો બેસી ગયો હોય બંધ રૂમમાં એ.સી.ચાલુ હોવાને કારણે વેન્ટીલેશનની પણ વ્યવસ્થા ન હોવાથી આગનો ધૂમાડો રૂમની બહાર નીકળી શકતો નથી.
