અમદાવાદના પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ: 27 PIની બદલી, દાણીલીમડા-દરિયાપુરના PIને કંટ્રોલરૂમમાં ધકેલાયા
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે શહેરના 27 પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલીના આદેશો જારી કર્યા છે. આ સાથે જ લાંબા સમયથી લિવ રિઝર્વમાં રહેલા 8 PI ને પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણૂંક આપવામાં આવી છે. આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચા દાણીલીમડા અને દરિયાપુરના PI ની થઈ રહી છે, જેમને સ્ટેશન પરથી હટાવી કંટ્રોલરૂમમાં મૂકી દેવામાં આવ્યા છે.

બેદરકારી બદલ શિક્ષાત્મક બદલી ?
શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી સફળ રેડ બાદ સ્થાનિક પોલીસની નિષ્ફળતા સામે આવી હતી. દાણીલીમડા વિસ્તારમાં કેમિકલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થતા PI એચ.એન. પટેલની બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે, દરિયાપુર વિસ્તારમાં જુગારનો મોટો અડ્ડો ઝડપાયા બાદ PI આર.જી. દેસાઈને પણ કંટ્રોલરૂમમાં મોકલી દેવાયા છે. નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એજન્સી દ્વારા 10 દિવસમાં પાંચ રેડ કરવામાં આવતા ત્યાંના PI પર પણ ગાજ પડી છે.

ઈન્ચાર્જ શાસનનો અંત
છેલ્લા ઘણા સમયથી શહેરના કૃષ્ણનગર, ચાંદખેડા, શહેરકોટડા, આનંદનગર અને માધવપુરા જેવા મહત્વના પોલીસ સ્ટેશનો ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલતા હતા. કમિશનરના નવા આદેશ મુજબ હવે આ તમામ સ્ટેશનો પર નિયમિત PI ની નિમણૂંક કરી દેવામાં આવી છે. માધવપુરામાં લાંબી માંદગી ભોગવતા કે.પી. જાડેજાના સ્થાને સી.આર. રાણાને જવાબદારી સોંપાઈ છે.
