ચોટીલા અને પાવાગઢ જતાં માઈભક્તો ખાસ વાંચજો !! સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, આરતીના સમયમાં પણ ફેરફાર
ચૈત્રી નવરાત્રિ કે જે 30 માર્ચથી શરૂ થાય છે અને 7 માર્ચે પૂર્ણ થશે. આ દિવસથી જ હિંદુઓના નવા વર્ષની શરૂઆત પણ થાય છે. નવરાત્રિના દિવસો દરમિયાન નવદુર્ગાના નવ રૂપોની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાની પૂજા અર્ચનાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે. ચૈત્ર નવરાત્રીના દિવસે માતાજીના મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે ચોટીલા અને પાવાગઢ જતાં માઈભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પગથિયાનો દ્વાર સવારે 5 વાગ્યે ખોલવામાં આવશે. ચૈત્રી નવરાત્રિને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આવતા ભક્તો સવારે 5 વાગ્યાથી ચઢી શકશે ડુંગર
ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજી બિરાજમાન છે. આમ તો દરરોજ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં માઈભક્તો ચોટીલા પહોંચતા હોય છે પરંતુ, ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા ચામુંડાના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું છે. ત્યારે દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ પગથિયાંના દ્વાર ખોલવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 30 માર્ચ એટલે કે, ચૈત્ર સુદ એકમથી 6 એપ્રિલ ચૈત્ર સુદ નોમ દરમિયાન પગથિયાનો દ્વાર સવારે 5 વાગ્યે ખુલશે.
આરતીના સમયમાં ફેરફાર
ચૈત્રી નવરાત્રિ દરમિયાન સવારની આરતીનો સમય સનવારે 5:30 કલાકે અને સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે. આ સિવાય મંદિરમાં ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધી રહેશે.
પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવતા ભક્તો માટે સવારે 5 વાગ્યે ખુલશે મંદિરના દ્વાર
ચૈત્રી નવરાત્રીના પગલે પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્ધારા સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે સમય પત્રક અનુસાર ચૈત્રી નવરાત્રીને લઈ નિજ મંદિરના સમય ફેરફાર કરાયો છે. એકમ, આઠમ, નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે, જ્યારે બાકીના દિવસોમાં મંદિર સવારે 5 વાગે ખુલશે અને ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી મંદિરના કપાટ રાત્રીના 8 વાગ્યે બંધ કરવામાં આવશે.