લો બોલો! રેસકોર્સનું ક્રિકેટ સ્ટેડિયમ જ્યાં વર્ષમાં 5 રાષ્ટ્રીય મેચ નથી રમાતી ત્યાં 5 કરોડના ખર્ચે નવું પેવેલિયન બનશે
રાજકોટના જામનગર રોડ ઉપર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે ત્યારથી રેસકોર્સના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનો જમાનો ચાલ્યો ગયો હોય તેવી રીતે આંતરરાષ્ટ્રીય તો ઠીક પરંતુ વર્ષમાં પૂરી પાંચ રાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ પણ હવે અહીં રમાઈ રહી નથી ! એકંદરે હવે આ સ્ટેડિયમ ઉપર સ્થાનિક સ્તરની ટૂર્નામેન્ટ જ રમાઈ રહી છે આમ છતાં અહીં બનાવવામાં આવેલું પેવેલિયન તોડી પાડી તેના સ્થાને પાંચ કરોડના ખર્ચે ચાર માળનું નવું પેવેલિયન બનાવવાનો અભરખો તંત્રવાહકોને જાગ્યો છે.

નવા પેવેલિયનના નિર્માણ માટે મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં અંદાજિત ખર્ચ 4.83 કરોડ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ અંગે અધિકારી હેમેન્દ્ર કોટકનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેડિયમનું વર્ષો જૂનું પેવેલિયન ખખડધજ હાલતમાં હોવા ઉપરાંત અહીં પાણી પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હોય તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અહીં ત્રણ માળનું પેવેલિયન છે જેના સ્થાને ચાર માળનું પેવેલિયન બનાવાશે જેમાં ખેલાડીઓ માટે ચેન્જીંગ રૂમ, જીમ, ડાઈનિંગ એરિયા સહિતની સુવિધા આપવામાં આવશે. એકંદરે 4.83 કરોડનો ખર્ચ માત્રને માત્ર પેવેલિયન તેમજ તેની આસપાસના વિસ્તાર માટે જ કરવામાં આવશે. ગ્રાઉન્ડ ઉપર કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો : અટકળોનો અંત : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગેચંગે જ નીકળશે, અધિકારીઓએ કર્યું રૂટનું નિરીક્ષણ

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે મહાપાલિકાના 2025-26ના બજેટમાં એવી જાહેરાત કરાઈ હતી કે આ સ્ટેડિયમ થકી આવક ઉભી કરવા માટે તેને ભાડે આપવામાં આવશે જેમ કે લગ્નપ્રસંગ, મ્યુઝિકલ નાઈટ સહિતના કાર્યક્રમો માટે ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવશે. હવે જ્યારે અહીં મર્યાદિત સંખ્યામાં પણ મેચ રમાઈ રહી નથી અને સ્ટેડિયમ એકલુંઅટુલું પડી ગયું છે ત્યારે માત્રને માત્ર પેવેલિયન પાછળ આટલો બધો ખર્ચ કરવો વ્યાજબી ન હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે. આ સ્ટેડિયમ ઉપર ક્રિકેટ સિવાય અન્ય રમતો રમી શકાય તેમ નથી એટલા માટે પેવેલિયન પાછળ થનારો ખર્ચ વ્યર્થ જ જશે તેમ કહેવામાં પણ અતિશ્યોક્તિ નથી. આટલા ખર્ચમાં એક મિનિ સ્પોર્ટસ કોમ્પલેક્સ કે જેની અત્યારે શહેરને તાતી જરૂરિયાત છે તે બની જાય છે તેમ છે પરંતુ તંત્રવાહકો આ દિશામાં ધ્યાન આપવાની જગ્યાએ પેવેલિયન પાછળ આટલો ખર્ચ કરવા માટે શા માટે મથી રહ્યા છે તે પણ સવાલ પૂછી લેનારી બાબત છે.