આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયા બાદ આજે રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલાં 6.2 કિલોમીટરની સ્મશાન યાત્રા નીકળશે સાથે સાથે અંતિમ દર્શન માટે એક કલાક સુધી પાર્થિવ શરીર તેમના નિવાસસ્થાને ખાતે રાખવામાં આવનાર છે. બીજી બાજુ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના દિગ્ગજ નેતાઓ રાજકોટમાં ઉપસ્થિત રહેનાર હોવાનું ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે આજે પાર્થિવ શરીર રાજકોટ આવી ગયા બાદ અંતિમ દર્શનાર્થે નિવાસસ્થાને રાખવામાં આવનાર છે ત્યારે કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે સઘળી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વેળાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાંથી મંત્રીઓ, સંગઠનના નેતાઓ સહિતના રાજકોટમાં હાજર રહેશે.
આ પણ વાંચો : આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર
અત્રે ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણીના ડીએનએ પાંચમા દિવસે મેચ થયા બાદ આજે તેમનો દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ દૂર્ઘટના બની ત્યારથી લઈ આજ સુધી મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ કેબિનેટના મંત્રીઓ સહિતના દિગ્ગજો ખડેપગે રહ્યા હતા સાથે સાથે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, ફાયરબ્રિગેડ સહિતના જવાનો પણ સ્ટેન્ડ બાય રહી મૃતકોના પરિવારજનોની પડખે રહ્યા હતા.