આપની પાટીદારો પર નજર! આવતીકાલે રાજકોટના સામાકાંઠે ગોપાલ ઈટાલિયાની જાહેરસભા: રવિવારે ખોડલધામમાં મેળાવડો
સૌરાષ્ટ્રમાં મોટી વોટ બેંક ગણાતી પાટીદારોના મત વિસ્તારો પર આપની નજર સાથે આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓ આરંભાઈ હોય તે રીતે ગુજરાત જ નહીં કેન્દ્ર સુધી ધ્યાન ખેંચનારી વિસાવદર ધારાસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિજયી થયા બાદ ઈટાલિયાએ વિજય રેલીમાં હવે રાજકોટમાં વિસાવદર કરવી છેના ઉચ્ચારેલા શબ્દો સાથે રાજકોટમાં પાટીદાર બેલ્ટ ગણાતા સામાકાંઠા વિસ્તારમાં પગરવ માંડયા છે. આવતીકાલે શનિવારે રાત્રે ઈટાલિયાની પેડક રોડ પર પેડક ચોકમાં જાહેરસભા યોજાનારી છે. ત્યારબાદ બીજા દિવસે રવિવારે લેઉઆ પટેલ સમાજના આસ્થાના મોટા ધાર્મિક સ્થાન એવા ખોડલધામ ખાતે ઇટાલિયા સમર્થકો સાથે જનારા છે. હાલ તો આ કાર્યક્રમ દર્શન માટેનો હોવાનું પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા સમર્થકો અને દર્શનાર્થીઓને ખોડલધામમાં રવિવારે ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બન્ને કાર્યક્રમને લઇને રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો દોર આરંભાયો છે. ભાજપ, કોંગ્રેસ બન્નેની આપની સભા અને ખોડલધામના કાર્યક્રમ પર નજર મંડરાયેલી રહેશે.
બેબાક બોલતા ગોપાલ ઈટાલિયા યુવાનો તેમજ પાટીદાર સમાજમાં વધુ સ્વીકૃતિ કે ચઢિતા બની રહ્યા હોવાથી અને ધારાસભ્ય બન્યા પછી ઈટાલિયાની રાજકોટમાં પહેલી જ જાહેરસભા પાટીદાર બેલ્ટ (વિસ્તાર) ગણાતા સામાકાંઠા પેડક રોડ પર કાલે શનિવારે યોજાવાની છે. આવા સંજોગોમાં સામાકાંઠે પાટીદારોનો મિજાજ બદલે કે ગોપાલ અને આપ પ્રત્યે પ્રેમ ઉભરે ગોપાલ નગારે ઘા કરે અથવા ગાબડું પાડે એ પૂર્વે જ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરવા અથવા તો છેલ્લા બે વર્ષથી વધુ સમયથી સાઈડલાઈન (કદાચ તેમના અંગત કામો અથવા પાર્ટી માટે તેમને સોંપવા જેવા પ્રોજેક્ટ કામો નહીં હોય) રહેલા એ વિસ્તારના વિધાનસભા-68 ના પૂર્વ ધારાસભ્ય રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને એક્ટિવ કરાયા છે.
સામાકાંઠો પાટીદાર વિસ્તાર હોવાથી અને જે તે સમયે રૈયાણીની પક્કડ પણ એ વિસ્તારમાં વધુ હતી જેથી કદાચ હવે તેમને ફરી દોડતા કરાયા હોઈ શકે કે દોડતા કરવાના હોય તેમ રૈયાણીને લાંબા અરસા બાદ ભાજપ આયોજીત ગણેશોત્સવમાં દેખાયા હતા સાથે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ પણ હતા. રાજકીય જાણકારોનું એવું માનવું છે કે મહાપાલિકાની ચૂંટણી નજીક આવતા અને ગોપાલ ઈટાલિયા કે આપની કોઈ ઈફેક્ટ ન પડે એ માટે અનુભવી કે નીવડેલા હાલ સાઈડ રહેલા જૂના જોગીઓને ફરી બેઠા કરવામાં આવશે. દોડતા કરાશે જેનું પ્રથમ પગલું કદાચ રૈયાણીથી શરૂઆત હોઈ શકે. જો કે શહેર ભાજપ દ્વારા બધા જૂના, વર્તમાન પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનોથી લઈ કાર્યકર્તાઓ એકજૂટ છે. અને સૌ સોની રીતે પક્ષમાં પક્ષ માટે એક્ટિવ છે તેવા ઉચ્ચારણો થઈ રહ્યા છે.
આપ રાજકોટમાં ચૂંટણી સમયે વિધાનસભા-68માં વધુ કાઠું કાઢતી હોવાથી પાટીદાર વિસ્તારવાળા આ બેલ્ટમાં ગોપાલ ઈટાલિયાની સભા ગોઠવી આગામી પ્રયોજનનું એક સિગ્નલ પણ હોઈ શકે તેવું રાજકીય વર્તુળોનું માનવું છે. વિસાવદરના વિજયી પરિણામને લઈને નવા સંચાર સાથે મથતી આમ આદમી પાર્ટીની શનિવારની રાજકોટની સભામાં ગોપાલ કેવા ગાજશે તેના પર ભાજપ-કોંગ્રેસની નજર હશે. બન્ને પક્ષો ખાસ તો ભાજપ દ્વારા તો અત્યારથી છાનાખૂણે સભાના પડઘા કેવા અને શું રહેશે તેના ગણિત પણ મંડાયા હશે. ડેમેજ કન્ટ્રોલ કે આવું અટકાવવા કદાચ એવું બને કે આગામી સમયમાં સંગઠન કે આવા કોઈ પ્રવાહમાં રૈયાણીને થોડા મજબૂત બનાવીને પાટીદારનો પટ્ટો સાચવવા માટેની વિશેષ જવાબદારી પણ સોંપાઈ શકે અથવા ભાજપને અંદરખાને એવું હોય કે રૈયાણી જો આપના સોફ્ટ ટાર્ગેટ બની જાય તો મોટું ગાબડું પડે એ પૂર્વે પાણી પહેલા પાળ બાંધી હશે? આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા રવિવારે સવારે 10.30 વાગ્યે ખોડલધામ-કાગવડ ખાતે ગોપાલ ઇટાલિયા દર્શન માટે આવનારા હોવાથી કાર્યકર્તાઓ-સમર્થકોને ઉમટી પડવા હાકલ કરાઈ છે. રાજકોટમાં લેઉઆ પાટીદાર બેલ્ટમાં સભા અને બીજા દિવસે સવારે લેઉઆ પાટીદારના આસ્થાના સ્થાન ખોડલધામમાં દર્શન કાર્યક્રમ રાજકીય રીતે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સૌરાષ્ટ્રના પોલિટિકલ એ.પી. સેન્ટર રાજકોટમાં ટક્કર!
રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એ.પી. સેન્ટર કે હબ ગણાય છે. અહીંની ઈફેક્ટ સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી રહે છે. વર્ષના અંતે કે 2026ના આરંભે રાજકોટ મહાપાલિકાની ચૂંટણી આવનારી હોવાથી હવે મજબૂત ભાજપ, ઝઝૂમતી કોંગ્રેસ અને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ એક્ટિવ થવા લાગ્યા છે. વિસાવદરમાં ધારાસભાની સીટ મેળવ્યા પછી વધુ આશાવાદી બનેલી આપની નજર રાજકોટ પર વધુ ઠરી છે. અહીં જો આગામી મહાપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ઉલટ-પુલટ કરી શકાય તો આ પરિણામો 2027ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ગેમ ચેન્જર બની રહે તેવી ખાસ આશ તો કોંગ્રેસ અને આપમાં વધુ પડતી હશે. ભાજપ માટે પણ સસલા અને કાચબાની હરિફાઈ માફક વધુ અંધારા કે વિશ્વાસમાં રાચવું પોષાય તેમ નથી. જો આપને મહાપાલિકામાં બહુમતિ નહીં થોડી બેઠકો મળે તો પણ ભાજપ માટે આકરાં ચઢાવ થઈ શકે.
ભાજપમાં કદાચ એવો પણ સળવળાટ હશે કે જો રૈયાણી ‘આપ’ તરફ સરકી જાય તો!!
આપ પણ રાજકોટમાં પક્કડ મજબુત બનાવવા પાટીદારના કોઇ હેવી વેઇટ ચહેરાની શોધમાં છે. હાલ રૈયાણી ભાજપના સુશુપ્ત જેવા દેખાતા હોવાથી કદાચ જો આપ એ તરફ નજર દોડાવે અને રૈયાણી આપ તરફ સરકી જાય તો ભાજપને સામાકાંઠે તો મોટો ફટકો પડે. અગાઉ ખોડલધામ સાથે રૈયાણી સંકળાયેલા હતા જેથી પાટીદાર સમાજમાં પ્રભુત્વ હોવાથી જો રૈયાણી આપ તરફ ઢળી જાય તો ભાજપને સૌરાષ્ટ્રમાં કમ સે કમ રાજકોટ શહેર-જીલ્લામાં ફટકો પડે અને સીધી અસર આગામી મહાપાલિકાની ચૂંટણીમાં દેખાઈ શકે. આવા કારણોસર પણ કદાચ ભાજપની થીંક ટેંક દ્વારા રૈયાણીને મેદાનમાં લવાયા હોઈ શકે. આવી જો અને તો જેવી રાજકીય વર્તુળોમાં વાતો વહેવા લાગી છે.
