જાન હૈ તો જહાન હૈ…પહલગામ આતંકી હુમલાના પગલે દિવાળી સુધી કાશ્મીરનાં બુકીંગ ‘કેન્સલ’ !
વર્ષો બાદ કાશ્મીર માટે મોટી સંખ્યામાં સહેલાણીઓએ બુકીંગ કરાવ્યા હતા.આ વર્ષે દિવાળી સુધી સૌથી વધુ જમ્મુ-કાશ્મીરનાં હાઉસફુલ બુકીંગ થયાં છે પણ મંગળવારે પહલગામમાં થયેલી આતંકી હુમલાની ઘટનાને પગલે ટુરિઝમ સેકટરની દિશા પલટાઈ છે.24 કલાકમાં રાજકોટ સહિત ગુજરાતમાંથી ઘડાઘડ કાશ્મીર માટેના પ્રવાસ કેન્સલ થવા લાગ્યા છે. ટ્રાવેલ ઓપરેટરોના જણાવ્યા અનુસાર, બોર્ડની પરીક્ષા પૂરી થઈ ત્યારથી ફરવાની મોસમ શરૂ થઈ ગઈ હતી ખાસ કરીને જમ્મુ કાશ્મીર માટે દિવાળી સુધીના એડવાન્સ બુકિંગ થયા હતા.
પહલગામમાં આંતકીઓએ પ્રવાસીઓ પર ધડાધડ ગોળીઓ ધરબી દેતા 27 જેટલા પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. જ્યારે હજુ ઘણા સહેલાણીઓ ત્યાં ફસાયા છે. આંતકવાદી હુમલાથી પ્રવાસીઓમાં ડર બેસી જતાં જેમને આગામી મે,જૂન તો ઠીક દિવાળી વેકેશન માટે ફરવાનો પ્લાન બનાવ્યો છે તે બુકીંગ પણ કેન્સલ કરાવી રહ્યા હોવાનું ટ્રાવેલ ઓપરેટરો કહી રહ્યા છે.
ફેવરિટ ટુર્સના દર્શીલ મસરાણીએ જણાવ્યું હતું કે,આ હુમલા બાદ સતત અમારા ફોન રણકી રહ્યા છે કે,ભાઈ અમારા કાશ્મીર માટેના બુકિંગ કેન્સલ કરી દેજો, અમે કહીએ છીએ કે હજુ મે અથવા જૂનમાં જવાનું છે તો સમય છે,બધું શાંત પડી જશે..રાહ અને થોભો.. વિચારીને નક્કી કરજો.અમારી વાતને પૂરી સાંભળ્યા વિના જ સામેથી જવાબ આવી જાય છે કે, જીવને જોખમમાં મૂકીને હવે શું ફરવાનું..? ભલે કેન્સલેશન માટેનું રિફંડ મળે કે ન મળે..અમારે અહીં ફરવા નથી જવું.
અમરનાથ યાત્રા ઉપર પણ અસર
પહલગામ ના આતંકી હુમલા બાદ કાશ્મીરના પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ અથવા તો ટુરીઝમ સેકટર ચેન્જ કરી રહ્યા છે. આ ઉપરાંત આગામી મહિનાથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે પણ ઘણા લોકોએ હવે યાત્રા માટે વિચારતાં થઈ ગયા છે.તો અમુક યાત્રિકો બાબા અમરનાથ પર શ્રદ્ધા રાખી યાત્રા પર જ્વાનું મક્કમ મને નક્કી કરી લીધું છે.
એરઇન્ડિયા અને ઇન્ડિગોએ રિફંડ માટે તૈયારી બતાવી
50 ટકાથી વધુ રાજકોટનાં પ્રવાસીઓએ કાશ્મીર માટેના બુકિંગ કર્યા હતા. ત્રાસવાદીઓના હુમલામાં સ્વજનોને ગુમાવ્યા બાદ આ ઘટનાથી લોકોમાં ઉચાટ ફેલાયો છે. આ પરિસ્થિતિને લઈને એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇનએ સંવેદના દર્શાવી છે. આગામી 30 એપ્રિલ સુધીમાં જે લોકો ફરવા જવાના છે તેમને ટ્રીપ કેન્સલ કરે છે તો તેમને ફલાઇટ કેન્સલેશન પર પૂરેપૂરું રિફંડ આપવામાં આવશે. જ્યારે મે અને જૂન મહિના માટે હજુ નિર્ણય નથી લેવાયો.
અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની મિટિંગ મળી
આંતકવાદીનો હુમલો અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડ્યો છે. લાંબા સમય બાદ સમર વેકેશન માટે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝએ જેટ ગતિએ ઉડાન ભરી હતી. અમદાવાદમાં ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની મીટીંગ મળી હતી જેમાં ચેરમેન રોનક શાહ સહિત ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો હાજર રહ્યા હતા. ખાસ કરીને આ મિટિંગમાં ટુરિસ્ટોને કઈ રીતે સહયોગ આપી શકાય? આ બુકીંગ રદ થતાં ટ્રાવેલ ઓપરેટરોને કરોડો રૂપિયાનો ફટકો પડશે કઈ રીતે બહાર આવવું સહિતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઈ હતી.