છઠ્ઠા ચરણની 58 માંથી 2019 માં એનડીએ ને 43 બેઠકો મળી હતી
58 બેઠકો પર પ્રચારના ભૂંગળા શાંત થઈ ગયા
દિલ્હી, હરિયાણા, બિહાર અને ઝારખંડની તમામ 29 બેઠકો પર એનડીએનો વિજય થયો હતો
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા ચરણમાં 25 મી તારીખે યોજનારી 58 બેઠકો પર ગુરુવારે સાંજે 5:00 વાગ્યે પ્રચાર બંધ થઈ ગયો હતો. આ 58 બેઠકોમાંથી 2019 માં ભારતીય જનતા પક્ષનો 38 બેઠક ઉપર અને એનડીએના સાથી પક્ષોનો પાંચ બેઠક ઉપર વિજય થયો હતો. 15 બેઠકો વિપક્ષના ફાળે ગઈ હતી. 25 મી તારીખે આ બેઠકો પર મતદાન પૂર્ણ થયે લોકસભાની 543 માંથી 486 બેઠકો ઉપર ઉમેદવારોનું ભાવી કેદ થઈ ગયું હશે. છેલ્લા અને સાતમા ચરણમાં પેલી જૂને 57 બેઠકો પર મતદાન થશે.
આવતીકાલે જ્યાં મતદાન યોજાવાનું છે તેમાંથી હરિયાણાની તમામ 10 બેઠકો અને દિલ્હીની સાત બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. બિહારની તમામ આઠ બેઠકો અને ઝારખંડની તમામ ચાર બેઠકો એનડીએ ને ફાળે ગઈ હતી. પશ્ચિમ બંગાળની જે આઠ બેઠકો પર આવતીકાલે મતદાન થશે તેમાંથી ગત ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો. બીજી તરફ ઉત્તર પ્રદેશની 14 માંથી છ બેઠકો બસપાને અને એક બેઠક સપાને મળી હતી. સાત બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો. ઓડિશામાં છમાંથી બે બેઠકો ભાજપને ચાર બીજેડીને મળી હતી. જમ્મુ કાશ્મીરની અનંતનાગ રાજોરીની એકમાત્ર બેઠક ઉપર પણ કાલે મતદાન થશે 2019 માં એ બેઠક ઉપર નેશનલ કોન્ફરન્સ ના ઉમેદવારનો વિજય થયો હતો.
કયા રાજ્યમાં કોને કેટલી બેઠક મળી હતી
બિહાર 8
વાલ્મીકિ નગર જેડીયુ
પશ્ચિમ ચંપારણ ભાજપ
પૂર્વી ચંપારણ ભાજપ
શિવહર ભાજપ
વૈશાલી એલજેપી
ગોપાલગંજ જેડીયુ
સિવાન જેડીયુ
મહારાજગંજ ભાજપ
જમ્મુ એન્ડ કાશ્મીર 1 અનંતનાગ નેશનલ કોન્ફરન્સ
ઓડિશા 6
ભુવનેશ્વર ભાજપ
પુરી બીજેડી
ધેનકનાલ બીજેડી
કેઓંજહાર બીજેડી
કટક બીજેડી
સંબલપુર ભાજપ
ઉત્તર પ્રદેશ 14
સુલતાનપુર ભાજપ
પ્રતાપગઢ ભાજપ
ફુલપુર ભાજપ
ઇલાહાબાદ ભાજપ
અંબેડકર નગર બીએસપી
શ્રાવસ્તી બીએસપી
ડોમરિયાગંજ ભાજપ
બસ્તી ભાજપ
સંત કબીર નગર બીએસપી
લાલગંજ બીજેપી
આઝમગઢ એસ.પી
જૌનપુર બીએસપી
મછલીશહર બીએસપીભદોહી ભાજપ
પશ્ચિમ બંગાળ 8
તમલુક ટીએમસી
કાંથી ટીએમસી
ઘાટલ ટીએમસી
ઝારગ્રામ ભાજપ
મેદિનીપુર ભાજપ
પુરુલિયા ભાજપ
બાંકુરા ભાજપ
બિષ્ણુપુર ભાજપ
ઝારખંડ 4
ગિરિડીહ AJSUP
ધનબાદ ભાજપ
રાંચી ભાજપ
જમશેદપુર ભાજપ
હરિયાણામાં ભાજપને નુકસાન થવાની ભીતી
હરિયાણામાં 2019માં ભાજપે તમામ 10 બેઠકો પર ભવ્ય વિજય મેળવી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા પણ આ વખતે ભાજપ એન્ટી ઇનકમ્બન્સી ફેક્ટરનો સામનો કરી રહ્યું છે. એ પરિબળને હળવું કરવા માટે ભાજપે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી બદલ્યા તે પછી ત્રણ અપક્ષ ધારાસભ્યો એ ટેકો પર જ ખેંચી લેતા સૈની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. ખેડૂત આંદોલનને કારણે ભાજપ વિરોધી વાતાવરણ છે બીજી તરફ ગત ચૂંટણીમાં દસમાંથી સાત બેઠક ઉપર ભાજપના ઉમેદવારો 3.50 લાખ કરતા પણ વધારે સોસાયટી વિજયી થયા હતા. એક બેઠક ઉપર ભાજપના ઉમેદવારની સરસાઈ 4.54 લાખની અને બીજી એક બેઠક ઉપર 6.38 લાખની સરસાઈ હતી. એકમાત્ર રોહતક ની બેઠક ઉપર ભાજપનો 7503 મતની પાંખી સરસાઈ થી વિજય થયો હતો. તાત્પર્ય એ કે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને ઓછામાં ઓછો 15 ટકાનો વોટ સ્વિંગ મેળવવો પડે.આ સંજોગોમાં બદલાયેલા રાજકીય સમીકરણો પછી પણ ભાજપને બહુ મોટું નુકસાન થવાની સંભાવના નથી. હરિયાણામાં સાત બેઠકો પર ભાજપનો અને ત્રણ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થવાની ધારણા રાજકીય વિશ્લેષકો રજૂ કરી રહ્યા છે.
દિલ્હીની તમામ સાત બેઠકો જાળવી રાખવાનો ભાજપ સામે પડકાર
દિલ્હીમાં ગત ચૂંટણીમાં ભાજપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. તમામ સાત બેઠકો પર ભગવો લહેરાયો હતો. ભાજપને 56.85%, કોંગ્રેસને 22.63% અને આમ આદમી પાર્ટીને 18.2% મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈ મેળવી હતી. બે બેઠકો ઉપર તો ભાજપના ઉમેદવારોની સરસાઈ 5.50 લાખ કરતા પણ વધારે હતી. જોકે આ વખતે ચૂંટણી ચિત્ર પલટાયુ છે. ભાજપે દિલ્હીની સાતમાંથી છ બેઠકો ઉપર નવા ઉમેદવાર ઊભા રાખ્યા છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધને ભારતીય જનતા પક્ષ સામે પડકાર ઉભો કર્યો છે. બંને પક્ષના કાર્યકરો સંયુક્ત રીતે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર માટે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બંને પ્રચાર કર્યો હતો.
સામા પક્ષે આમ આદમી પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. અરવિંદ કેજરીવાલ જો કે વિક્ટ ટીમ કાર્ડ રમી રહ્યા છે. તેમની જામીન મુક્તિ બાદ તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફ સહાનુભૂતિ મોજુ હોય તેવું ચિત્ર ઉપસ્યા બાદ જો કે સ્વાતિ માલીવાલ કેસ ને કારણે આમ આદમી પાર્ટી બેકફૂટ ઉપર આવી ગઈ છે. આવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષ ગત પરિણામોનું પુનરાવર્તન કરી તમામ બેઠકો પર વિજય મેળવી શકે છે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.
ઉત્તર પ્રદેશમાં કસોકસનો જંગ ક્ષત્રિયો ભાજપની વિરૂધ્ધમાં
ઉત્તર પ્રદેશની 14 બેઠકો પર આવતીકાલે મતદાન થશે. 2019 માં તે પૈકીની સાત બેઠકો પર ભાજપનો, 6 બેઠકો પર બહુજન સમાજ પાર્ટીનો અને એક બેઠક ઉપર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. 2019 માં સપા અને બસપાનું ગઠબંધન હતું. આ વખતે કોંગ્રેસ અને સપાનું ગઠબંધન છે અને બહુજન સમાજ પાર્ટી એટલે હાથે ચૂંટણી લડી રહી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ અને વિપક્ષો બધાએ ખૂબ આક્રમક પ્રચાર કર્યો છે. ભાજપને 400 બેઠક મળશે તો બંધારણ બદલાવી અને અનામત ખતમ કરી દેશે એવા કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના પ્રચારને કારણે બસપા અને ભાજપની દલિત અને ઓબીસી વોટ બેંકમાં કોંગ્રેસ અને સપાનો પગપેસારો થયો છે. બીજી તરફ ગુજરાતની માફક જ ઉત્તર પ્રદેશમાં પણ ક્ષત્રિયો ભાજપ ની સામે પડ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. ભાજપના ગઠબંધનના સાથી પક્ષ અપના દલના ઉમેદવાર અનુપ્રિયા પટેલે કરેલા કેટલાક ઉચ્ચારણોને કારણે બળતામાં ઘી હોમાયું છે. ક્ષત્રિય- રાજપુત બહુમતી વાળા વિસ્તારોમાં નોંધપાત્ર વર્ચસ્વ ધરાવતા બાહુબલી નેતા રાજા ભૈયાએ ભાજપ વિરોધી વલણના નિર્દેશ આપ્યા બાદ પ્રયાગરાજ અને પ્રતાપગઢ ની બેઠકો પર ચિત્ર પલટાયું છે.
પશ્ચિમ બંગાળમાં મમતા સામે બેઠકો જાળવી રાખવાનો પડકાર
પશ્ચિમ બંગાળની આઠમાંથી પાંચ બેઠકો ઉપર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. તેમાં પણ પુરૂલીયામાં ભાજપને 40.59 ટકા મત અને ટી એમ સી 28.15% મત મળ્યા હતા.બોકુરાની બેઠક ઉપર પણ ટીએમસીના 30.28% મતની સામે ભાજપે 40.96 ટકા મત મેળવી જંગી સરસાઈ પ્રાપ્ત કરી હતી. 2019 માં ટીએમસીને જે ત્રણ બેઠક મળી તેમાંથી તામલુક અને કાંથી ની બેઠકો સુવેન્દુ અધિકાર પરિવારનો ગઢ છે. ગત ચૂંટણીમાં તામલુકની બેઠક પર ટીએમસીના ઉમેદવાર તરીકે સુવેંદુ અધિકારીના ભાઈ દિવ્યેંન્દુ અધિકારી અને કાંથી ની બેઠક પર તેમના પિતા શિશિર અધિકારીનો વિજય થયો હતો. આજે અધિકારી પરિવાર મમતાની સામે છે. આ સંજોગોમાં આ બંને બેઠકો જાળવી રાખવાનો મમતા સામે મોટો પડકાર છે. આ વખતે તામલુકની બેઠક પર ભાજપ તરફથી કોલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ અભિજીત ગંગોપાધ્યાય અને કાંથીની બેઠક પરથી સૌમેન્દુ અધિકારી મેદાનમાં છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં ગત ચૂંટણીમાં ભાજપ એ 18 બેઠકો પર વિજય મેળવી રાજકીય ચમત્કાર સર્જ્યો હતો.
