આવી જીંદગી મારે નથી જીવવી…રિબડામાં યુવકનો આપઘાતઃ અનિરૂધ્ધસિંહ, પુત્ર રાજદિપ અને બે યુવતી સામે નોંધાયો ગુનો
રાજકોટમાં રહી મોડલીંગ કરતી બગસરાની 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આક્ષેપો સાથેના આરોપી રીબડાના અમિત દામજીભાઈ ખૂંટે તેની જ રીબડા ગામે વાડીએ ગળાફાંસો ખાઇ કરેલા આપઘાતના ચકચારી બનાવમાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપ તેમજ બે યુવતી સામે યુવકને કાવતરૂ રચી હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મનો ખોટો કેસ કરાવી બદનામ કરી આપઘાતની ફરજ પાડવાના આરોપસર ગુનો નોંધાયો છે. મૃતકના પરિવારજનોએ જ્યા સુધી આરોપી પિતા-પુત્ર પકડાય નહીં ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કરી દેતા પોલીસ માટે મુશ્કેલી વધી છે. પોલીસે બે યુવતીને સકંજામાં લીધી હોવાનું જાણવા મળે છે.
યુવક સામે રાજકોટમાં ત્રણ દિવસ પહેલા મોડલીંગ કરતી સગીરાએ કારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બનાવમાં પોલીસ અમિતને શોધતી હતી. દરમિયાનમાં આજે અમિતનો રિબડામાં તેની વાડીએ ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કરી લીધેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે રિબડા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સહિતના દોડી ગયા હતા અને મૃતકના પરિવારને સધિયારો આપ્યો હતો. અમિતના મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લવાતા ત્યાં પણ જયરાજસિંહના પુત્ર ગણેશ અને અન્ય લોકો પહોંચ્યા હતા. હોસ્પિટલ ખાતે મૃતક અમિતના કાકા જૈતીભાઈ પાંચાભાઈ ખૂંટે મીડિયા સમક્ષ અનિરૂધ્ધસિંહ અને રાજદિપ અન્યોના કારણે ભત્રીજા અમિતે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો છે. પડયંત્ર ગોઠવીને અમિતને રેપ કેસમાં ફસાવવામાં આવ્યો છે. બંને પિતા-પુત્રના હાથ છે. સહિતના આક્ષેપો સાથે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય, ધરપકડ નહીં થાય, ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગોંડલ તાલુકા પોલીસે યુવકની સ્યૂસાઇડ નોટના આધારે તેમજ મૃતકના ભાઈ મનીષ દામજીભાઈ ખૂંટની ફરિયાદ પરથી રાજેશ ઉર્ફે અમિતે અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ તથા રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ અને બે યુવતી સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં મુકેલા આરોપ મુજબ સૌમવારે સવારે 6.30 વાગ્યે મનિષને ખબર પડી કે તેના ભાઈ અમિતે પાણીના વોકળામાં ઢાળ પર દોરડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો જેથી તે વાડીએ દોડી ગયો હતો અને ગામના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી. અમિતના ખીસ્સામાંથી ચાર ચિઠ્ઠી મળી આવી હતી. અમિતે ગત વિધાનસભાની ચૂંટણી વખતે અનિરૂધ્ધસિંહ, રાજદીપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વીખવાદ થયો હતો જે બાબતમાં અમિત ઉપર હુમલો થયો હતો
અને જેનો અમિતે કેસ કર્યો હતો. આ ઉપરાંત અનિરૂધ્ધસિંહને પોપટભાઈ સોરઠીયાના મર્ડર કેસમાં સજા પડી હતી અને સજામાફી થઈ હતી. જે સજામાફી રદ કરવા માટે અમિતે ગૃહખાતામાં અરજી કરી હતી. જેથી અનિરૂધ્ધસિંહ અને રાજદિપસિંહે મળી નાણા આપીને બે છોકરીઓ મારફતે હનિટ્રેપમાં ફસાવી દુષ્કર્મનો ખોટો કેસ કરાવી બદનામ કર્યો હતો. અનિરૂધ્ધસિંહ દ્વારા અનેકવાર ધમકીઓ પણી આપવામાં આવી હતી. તે ત્રાસના કારણે અમિતે આપઘાત કરી લીધાનો ફરિયાદમાં આરોપ મુકાયો. છે. બનાવ સંદર્ભે પી.આઈ. એ.સી. ડામોર તથા સ્ટાફે તપાસ હાથ ધરી છે. ગળાફાંસો ખાઈને જીવ ગુમાવનાર અમિત બે ભાઈમાં નાનો હતો. સુરતના ધીરુભાઈ પેથાણીની પુત્રી બીનાબેન સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં 9 વર્ષનો પુત્ર મંત્ર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે અનિરૂધ્ધસિંહનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે તેમા પોતાનો કોઈના ઈશારે ગુનો નોંધાવા માટે સમગ્ર પ્રકરણ ઉભુ કરાયા સહિતના શબ્દો સાથે આક્ષેપ કર્યા છે. ઘટનાને પગલે ગોંડલ અને રિબડાનું રાજકારણ ફરી ગરમાય તેવુ દેખાઈ રહ્યુ છે.
બદનામ કરવામાં કોઇ કસર નથી છોડી એટલે આવી જીંદગી મારે નથી જીવવી
અમિતે સ્યૂસાઇડ પૂર્વે લખેલી ચાર પેઈજની નોટ વાયરલ થઇ છે. જેમાં એવા શબ્દો લખાયેલ છે કે અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, રાજદીપસિંહ અનિરૂધ્ધસિંહ બદનામ કરવામાં કોઇ કસર નથી છોડી એટલે આવી બદનામ વારી જીંદગી મારે નથી જીવવી. હું અને મારો પરિવાર ઉંચુ ઉપાડીને ગામમાં જ નો નીકળી આવી બદનામ કરી અનુભા આવુ ના કરાય. તમારે સમાધાન કવુ તું તો તમે આવી એક ફોન કર્યો હોત તો હું આવી જાત. મે તમારી આવી આબરૂ કાઢી હોત તો ? ગામમાં બધુ ખુલુ કરીને મારે હવે તમને બદનામ નથી કરવા. તમે ખાલી ગામ સાથે આવુ નોતું કરવું. અને મારા તમામ મિત્રોને વીનંતિ છે આની ઉપર જે કાર્યવાહી થતી હોય કરજો ત્યારે મારા જીવને શાંતિ મળશે. હું જાવ છું. મારી સાથે આ ચાર છોકરીયુ એ હર્નીટ્રેપ કરીયુ છે. ત્રણ છોકરા છે. આ બધાનું મસ્ત મોટું ગ્રુપ છે. આ બધાને સખ્તમાં સખ્ત સજા કરજો. સહિતના આક્ષેપો સાથે સ્યૂસાઇડનોટ લખી છે.