રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણયઃ નવી શરતની તમામ જમીનો હવેથી જૂની શરતની
તમામ મામલતદારોને જૂની શરતમાં ફેરવવા નોંધ પાડવા આદેશ
ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ
ગુજરાત સરકારે ઐતિહાસિક કહી શકાય તેવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણવા નક્કી કર્યું છે અને રાજ્યના તમામ મામલતદારોને આવી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવતી સુઓમોટો કાર્યવાહી કરવા આદેશ કરી સાથે જ ખેડૂતોને આવી જમીનના કિસ્સામાં ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ આપવા પણ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે એટલે કે સુઓમોટો નોંધ પાડવાની રહેશે.
વધુમાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.
ગ્રામ્ય વિસ્તારમાં નવી શરતની જમીનની ખરીદી નીકળશે
હાલમાં રિયલ એસ્ટેટક્ષેત્રે મંદીનો માહોલ છે ત્યારે સરકારના આ નિર્ણયને પગલે ગ્રામીણ વિસ્તારમાં વણ વેચાયેલી પડેલી પ્રીમિયમપાત્ર જમીનોનું વેચાણ વધશે. અત્યાર સુધી પ્રીમિયમ ભરવાની જફા અને સરકારી કચેરીઓમાં પ્રીમિયમ નક્કી કરવા માટે ખાવા પડતા ધક્કાના કારણે આવી જમીનના ખરીદનાર મળતા ન હતા પરંતુ સરકારના આ નિર્ણયથી હવે આવી જમીનો પણ કિમતી બનશે.
મહેસુલી ટાઇટલ પ્રમાણપત્ર લઇ લો તો દસ જ દિવસમાં બિનખેતી
રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે. જે અન્વયે સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી 30 દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રીમિયમ, દંડ, રૂપાંતરણ, વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે. પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.