કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
હવામાન ખાતાએ તા. 18 થી 20 દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાંની આગાહી કરી છે. બુધવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 19 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં માવઠુ પડશે. તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠું પડશે.
19મી માર્ચે વરસાદનું જોર અને વિસ્તાર બંને વધશે. આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદની સંભાવના છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ સહિત કચ્છ અને દીવમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
20મી માર્ચે વરસાદની અસર ધીમી પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર,18, 19 અને 20 તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ થવાની પૂરી સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ગુજરાત સુધી વિસ્તરેલું હોવાથી આ માવઠું પડશે.
ખેડૂતોને સાવધાની રાખવા અનુરોધ
આજથી રાજ્યમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલી છે ત્યારે ખેડૂતોને વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને પાક માટે તકેદારીનાં પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
- કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખૂલ્લા હોય તો તેને તાત્કાલિક સલામતસ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.
એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો ઢાંકીને અથવા શેડ નીચે સુરક્ષિત રાખવા જોઈએ. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જોઈએ.તેમ રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.
