હાર્ટ એટેકનો કાળો કહેર : રાજકોટ અને સુરતમાં ૨૪ કલાકમાં ૯ લોકોના મોત
- રાજકોટમાં ત્રણ મહિલા સહિત ચાર અને સુરતમાં
- પાંચ પુરુષોને હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થતા પરિવારમાં કરુણાંતિકા
- ખરાબ જીવનશૈલી અને ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા હાર્ટ એટેકના બનાવો વધ્યા
રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના હાર્ટ એટેકથી મોત થયાના આંકડા
વર્ષ – મૃત્યુ આંક
૨૦૨૨ – ૩૨,૪૫૭
૨૦૨૧ – ૨૪,૪૧૩
૨૦૨૦ – ૨૮,૫૭૯
હાલ રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સા સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ અને સુરતમાં એક દિવસમાં કુલ ૯ લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ઘટના બનતા ફફડાટ મચી જવા પામી છે.જેમાં રાજકોટમાં ત્રણ મહિલા સહિત ચાર અને સુરતમાં પાંચ પુરુષોને હદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો છે.જ્યારે ખરાબ જીવનશૈલી અને ક્ષમતા કરતા વધુ કામ કરવાથી હૃદય પર ભારણ આવતા હાર્ટ એટેકના બનાવો વધ્યા હોવાનું તબીબો દ્વારા જણાવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં ભીચરીમાં આવેલી એચ એન શુક્લા કોલેજના ક્વાર્ટરમાં રહેતાં અને ત્યાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતાં જીવાભાઇ લઘરાભાઇ લેલા (ઉ.વ.૪૯) સવારે પાંચેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત જાહેર કરાતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારે જણાવ્યું હતું કે જીવાભાઇને રાતે થોડુ છાતીમાં દુઃખતું હોઇ દવા લઇ સુઇ ગયા બાદ સવારે એકાએક બેભાન થઈ તેમનું મોત નીપજયુ હતુ.બીજા બનાવમાં જામનગરમાં સ્વસ્તીક સોસાયટીમાં સત્સસાઇ સ્કૂલ સામે સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતાં નીરૂબેન બીપીનભાઇ વારીયા (ઉ.વ.૬૩) ગત રાતે ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક રાજકોટમાં તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે હતાં ત્યારે એકા એક બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્યાં મૃત્યુ નિપજ્યું હતું. અને તબીબે હાર્ટએટેક આવી ગયાનું જાહેર કર્યુ હતું. ત્રીજા બનાવમાં મવડી જસરાજનગર બાપા સિતારામ ચોક શેરી નં. ૩માં રહેતાં કિરણબેન કિશોરભાઇ અઘેરા (ઉ.વ.૪૯) બેભાન થઇ જતાં મોત થયું હતુ. અને ચોથા બનાવમાં કોઠારીયા મેઇન રોડ પર રહેતા ધીરજબેન પ્રફુલભાઈ વડોલિયા (ઉ.વ.૪૫) આજે પોતાના ઘરે બાથરૂમમાં હતા ત્યારે તેનો બેભાન થઈને ઢળી પડતાં તેમના પતિએ દરવાજો તોડી બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને હદય રોગના હુમલાથી મોત થયાનું જણાવ્યું હતું.
સુરતની વાત કરવામાં આવે તો જ્યાં પાડેસરમાં રહેતા બ્રિજરાજ સિંહ નામના યુવાન તેના પુત્રી સાથે રમી રહ્યા હતા ત્યારે બ્રિજરાજ સિંહ બેભાન થઇ ઢળી પડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે બીજા બનાવમાં પાડેસરમાં રહેતા જીતુ પ્રજાપતિ ઘરે સૂતા હતા બાદ બેભાન થઈ જતાં તેમનું મોત નિપજ્યું છે.ત્રીજા બનાવમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો નીતિન દવે નામની યુવાન વોટર પાર્કમાં હતો તે સમયે અચાનક બેભાન થઈ ઢળી પડતાં તેને ૧૦૮ મારફત સારવાર માટે ખસેડાયો હતો.પરંતુ તેનું સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેરું ઉદી ગયું હતું.જ્યારે હજીરામાં રહેતો સરોજ દાસ નામનો યુવક અને તેમ વિસ્તારમાં રહેતી સંતોષ કૌશિક નામના બે યુવાનો પોતાના ઘરે રાત્રીના સૂતા સવારે બેભાન હાલતમાં જનતા તમને સર્વર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.જ્યારે આ પાંચેય બનાવ મામલે તબીબો દ્વારા હાર્ટ એટેકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન જણાવ્યું છે.