ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ અડધા ચોમાસે જ 60 ટકા ભરાયો : રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ છલોછલ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીજિયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : ડિજિટલ એરેસ્ટ ગેંગનું વડું મથક કંબોડિયા: 3075 લોકો ઝડપાયા,105 ભારતીય નાગરિકોની પણ ધરપકડ
ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 25જુલાઈ 2025ની સ્થિતિએ ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે, 68.23 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં બીજા ક્રમે 19.62 લાખ હેકટર વિસ્તારમાં કપાસના પાકનું વાવેતર કરાયું છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પાઇલટની ભૂલની શક્યતા : ફ્યુઅલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, FAAની તપાસમાં ખુલાસો
ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા અત્યાર સુધીમાં 10 જિલ્લામાંથી 4278 નાગરિકોનું સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 689 નાગરીકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. 28 જુલાઇ, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદના કારણે ખોરવાયેલા વીજ પુરવઠાને 100 ટકા પૂર્વવત કરવામાં આવ્યો છે. G.S.R.T.Cથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતીએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસના કોઈપણ રૂટ કે ટ્રીપ બંધ નથી.