સરકારની ડ્રગ્સ વિરુદ્ધ ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: ગુજરાત પોલીસે 2 વર્ષમાં રૂ.3727 કરોડનું ડ્રગ્સ પકડ્યું, ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર બુલડોઝર એક્શન
રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે.
ગુજરાત પોલીસે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી છે. તે ઉપરાંત ડ્રગ પેડલર અને ડ્રગ કાર્ટેલ્સને પકડીને ટોપ ટુ બોટમ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી ડ્રગ નેટવર્કના મૂળ સુધી પહોંચી ગુનેગારો સામે કડક પગલાં લીધા છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે વિગતવાર માહિતી આપતા મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં 1,647 ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે 41,000 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. 3,727 કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં 135 ગુનાઓ હેઠળ 306 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. 244.59 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું કે, દરિયાઈ માર્ગ હોય કે અન્ય માધ્યમ, ગુજરાત પોલીસ અને ATSની બાજ નજરને કારણે ડ્રગ્સના સોદાગરો માટે હવે ગુજરાતમાં કોઈ સ્થાન નથી. જામનગરમાં ગૌચર અને સરકારી જમીન પર ડ્રગ્સ માફિયાઓએ ઉભા કરેલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. સરકારના આ સઘન પ્રયાસોને પરિણામે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવા માટે લોકભાગીદારી પણ વધી રહી છે.
