પાન ખાઈને પિચકારી મારતા હોય તેની સામે ધોકા લઈને નીકળો !! ગૃહમંત્રીએ મહિલાઓને આપેલી સલાહ ચર્ચાસ્પદ બની
થોડા સમય પહેલા આરોપીઓના વરઘોડા કાઢવા અંગે નિવેદન કરીને ચર્ચામાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હવે રાત્રે પાન-ફાકી ખાઈને સોસાયટીમાં બેસી રહેતા અને પાનની પિચકારી મારતા લોકો સામે મહિલાઓને ધોકા ઉપાડવાની સલાહ આપી છે.
હર્ષ સંઘવીએ ગુજરાત ઉમિયા મહિલા મંડળના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અને માવા ખાઈને થૂંકનારાઓને સીધા કરવા માટે તેઓએ મહિલાઓને આ સલાહ આપી હતી.
તેમણે કહ્યુ હતુ કે, ‘કોના-કોના ઘરમાં ધોકા છે? જે લોકો સોસાયટીની નીચે બેઠા-બેઠા મોડી રાત સુધી માવા ખાઈને પિચકારી મારે તો શું કરવાનું? આ લોકોને અટકાવવા હોય અને સ્વચ્છતા જાળવવી હોય તો ફક્ત એક કામ કરવાનું છે. બહેનોએ હાથમાં ધોકો લઈને નીચે જવાનું છે. જો તમે બધાં ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક પણ વ્યક્તિ સોસાયટી નીચે માવો ખાવાની હિંમત નહીં કરે. આનાથી સોસાયટીમાં માવા થૂંકવાની ગંદી આદત પણ અટકી જશે અને બીમારી ફેલાતી ઘટશે તેમજ પુરૂષોની મોડી રાત સુધી બેસવાની આદત પણ છૂટી જશે.’
ઘણાં લોકો હર્ષ સંઘવીના આ નિવેદનને ટેકો આપી રહ્યા છે. ત્યારે ઘણી જગ્યાએ તેમના આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે.