આશરો આપો કાં સમય આપો, 7 દિવસમાં ક્યાં જઇએ? રાજકોટમાં ડિમોલિશન મામલે ગરમાવો,મહિલાઓએ કહ્યું-નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી
રાજકોટ શહેરમાં આજી રિવરફ્રન્ટ માટેની કલેક્ટર તંત્ર હસ્તકની એક લાખ ચોરસ મીટરથી વધુ જમીન પર ઉભેલા 1358થી વધુ મકાનો, દુકાનો કે આવા બાંધકામો દૂર કરવાની બે દિવસ પૂર્વે તા.27ના રોજ ડિમોલિશન ફાઈનલ નોટિસ ઈસ્યુ થયા બાદ જંગલેશ્વર વિસ્તારમાં અજંપા સાથે ગરમાવો વધ્યો છે. ગુરૂવારે જંગલેશ્વર વિસ્તારમાં રહેવાસીઓના ટોળાં ઉમટ્યા હતા અને કલેક્ટર કચેરી ખાતે નોટિસ ધારકો મોટી સંખ્યામાં ધસી આવ્યા હતા. દબાણકારોની માંગ છે કે કાં તો આશરો આપો અથવા તો સમય આપો, સાત દિવસમાં ક્યા જઈએ, સામે તંત્ર પણ મક્કમ છે. હવે ભાજપના નગર સેવકે પણ દબાણકારોની તરફેણ સાથે ઝંપલાવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે ડિમોલિશન સાત દિવસની મુદ્દત બાદ થશે કે રાજકીય રજૂઆત સાથે કોઈ વચલો માર્ગ નીકળશે ?
આજી રિવર ફ્રન્ટ માટેની જગ્યા ખાલી કરાવવા માટે ચાલી રહેલી પ્રક્રિયામાં અત્યાર સુધી વિપક્ષ કોંગે્રસ દ્વારા બાંધકામો ન તોડવા દેખાવો કરાયા, રેલી કાઢવામાં આવી હતી. જો કે વિકાસકામને લઈને તંત્ર દ્વારા ડિમોલિશન બાબતની કાર્યવાહી આગળ ધપાવાઈ હતી. હવે ખૂદ શાસકપક્ષના જ વોર્ડ નં.16ના નગરસેવક નરેન્દ્ર ડવે પણ દબાણકારોની તરફેણમાં અવાજ ઉઠાવ્યો છે. નોટિસોને લઈને સ્થાનિક રહેવાસીઓ આજે સવારતી જ જંગલેશ્વર વિસ્તાર, રાધાકૃષ્ણનગરમાં એકઠા થયા હતા. બપોર બાદ કલેક્ટર કચેરીએ ઉમટ્યા હતા.
ઘરના બદલે ઘર આપો, ગરીબ પ્રજા પર તાનાશાહી ન કરો જેવા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. કલેક્ટર કચેરીમાં ધરણાં પર બેઠા હતા. કલેક્ટરને સંબોધીને કરાયેલી રજૂઆતમાં 50 વર્ષથી વસવાટ કરીએ છીએ, બાળકોની પરીક્ષાઓ નજીક છે. 40 વર્ષ જૂના લાઈટ બીલ, વેરા બીલ અને અન્ય સરકારી પુરાવા છે. માત્ર સાત દિવસમાં 20,000 લોકો ક્યા જશે, ભાડાના મકાનો પણ ટૂંકા સમયમાં મળી ન શકે. માનવતાના ધોરણે ડિમોલિશન અટકાવવા અને યોગ્ય પુનઃવસન અથવા જંત્રી મુજબ રેગ્યુલાઈઝ કરી આપવા વધુ એક વખત માગણી ઉઠાવાઈ છે.
બીજી તરફ કલેક્ટર ડો.આમપ્રકાશે પણ મીડિયા સમક્ષ સ્પષ્ટ જણાવ્યું હતું કે, દબાણકર્તાઓને પુરતો સમય અપાયો છે. લિગલ પ્રક્રિયા ફોલો કરાઈ છે. પુરાવાઓ આપવાની પણ પુરતી તક અપાઈ હતી. સમય મર્યાદા માટેનો કોઈ પ્રશ્ન રહેતો નથી. હવે ગૌચર, સરકારી દબાણોની રેવન્યુ ઓફિસર્સની ડાયરીમાં નોંધ રહેશે અને તે મુજબ સરકારી જમીનો ખાલી કરાવાશે.
આ પણ વાંચો :રાજકોટના સાંઢિયા પુલ પર ગર્ડર મુકવા રેલવેનું ‘ગ્રીન સિગ્નલ’: ફેબ્રુઆરીના અંતમાં બ્રિજ તૈયાર, નિર્માણ કાર્ય 88% જેટલું પૂર્ણ
આજે ફરી જંગલેશ્વર વિસ્તારમાં એકઠા થયેલાઓ પૈકીનાઓએ ધારાસભ્ય કાનગડ વિરૂધ્ધ તેમજ સ્થાનિક નગરસેવકો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે એવો પણ બળાપો કાઢ્યો હતો કે, કોંગ્રેસવાળા તો હવે દેખાતા નથી.
નોટિસ મળી ત્યારથી ઘરમાં ચુલા નથી સળગ્યા, સૂતા નથી
કલેક્ટર કચેરીએ ઉમટી પડેલી મહિલાઓ, વૃધ્ધાઓએ એવો કકળાટ કર્યો હતો કે છેલ્લા 50, 60 વર્ષથી રહીએ છીએ. રોજનું કમાઈને રોજનું ખાઈએ છીએ, બે દિવસ પહેલાં નોટિસ આવી ત્યારથી ઘરોમાં ચુલા સળગતા નથી, રાંધ્યા ધાન કોઈ ખાઈ શકે, ગળે ઉતરે તેવું નથી, રાત્રે સુતા નથી, બધા ગરીબો છીએ. આટલા વર્ષથી શું સરકાર સુતી હતી ? વિસ્તારોમાં ભાડા પણ ઉંચકાઈ ગયા છે.મકાનો ભાડે મળતા નથી સહિતના વલોપાત ઠાલવ્યા અને કેટલીક મહિલા રડી પણ હતી.
જેણે અગાઉ ડિમોલિશનની માંગ કરી તે ભાજપના નગરસેવક ડવ જ હવે વિરોધમાં
ફાઈનલ નોટિસ બે દિવસ પૂર્વે ઈસ્યુ થયા બાદ મેદાને પડેલા નગરસેવક નરેન્દ્ર ડવે એવું કથન કર્યું છે કે અમે લોકોની સાથે છીએ. અત્યારે માર્ચ માસમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે તેમજ જેમની પાસે રહેણાંકો નથી તેઓને મહાપાલિકાના આવાસ ફાળવવા જોઈએ. જંગલેશ્વર ટી.પી. આજી રિવર ફ્રન્ટમાં આવે છે તે બરોબર પણ જે વિસ્તાર નથી આવતા તેનું શું ? ભાજપના કોર્પોરેટરો વિસ્તારવાસીઓની સાથે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટર નરેન્દ્ર ડવે જ અગાઉ વોર્ડ નં.16માં ટીપી નં.6માં દબાણો દૂર કરાવવા માટે મુખ્યમંત્રી સુધીનાને પત્ર
લખ્યો હતો.
