ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
રાજકોટમાં એક બાજુ ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ રહેણાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 40 સિલિન્ડરનો ઢગલો પડયો હોય તેમાં આગ લાગતાં બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. જો કે ચાર જ મિનિટમાં ફાયર બ્રિગેડે પહોંચી જઈ 46 મિનિટ સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ લેતાં 38 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતો રહી ગયો હતો સાથે સાથે મોટી ખુંવારી સ્હેજમાં અટકી હતી. જો કે આ આગને કારણે બે લોકો દાઝી જતાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સહકાર મેઈન રોડ પર સાધના સોસાયટી શેરી નં.2/5ના ખૂણે આવેલા ગ્રાઉન્ડ ફ્લોર+બે માળના રહેણાક બિલ્ડિંગના પાર્કિંગમાં બપોરે 12:55 વાગ્યે આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડને મળતાં જ ચાર મિનિટમાં ફાયર ફાઈટર સાથેના કાફલા સાથે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કર્યો હતો. ૪૬ મિનિટ સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ 1:45 વાગ્યે આગ કાબૂમાં આવી ગઈ હતી.
તપાસ કરતાં જ્યાં આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં 40 એલપીજી સિલિન્ડર તેમજ પાંચ લીટર ડીઝલ ભરેલા કેરબા ઉપરાંત કેટરર્સના વ્યવસાયને લગતી સામગ્રી પડેલી હતી. કેટરર્સના માલિક અશોક કરશનભાઈ રૈયાણીએ જણાવ્યું કે પાણી ગરમ કરતી વખતે ગેસ ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. જો કે આ વાત તંત્રને ગળે ઉતરી રહી નથી. ફાયરબ્રિગેડની સમયસુચકતાને કારણે સમયસર આગ કાબૂમાં આવી જતાં બાકી રહી ગયેલા 38 સિલિન્ડર બ્લાસ્ટ થતાં બચી ગયા હતા. જો આ બ્લાસ્ટ થયો હતો તો કેવી ખુંવારી સર્જાઈ હોત તેની કલ્પના જ કરવી ઘટે !
એકંદરે આગને કારણે જીજે3કેપી-6807 નંબરની અર્ટિગા કાર તેમજ જીજે૩એચજે-6807 નંબરનું સ્કૂટર સળગી ગયું હતું તેમજ મોહિત દીપકભાઈ ત્રિવેદી (ઉ.વ.20) અને શામજીભાઈ લાખાભાઈ દેસાઈ (ઉ.વ.77) દાઝી ગયા હતા. બાજુના જ એપાર્ટમેન્ટમાં આગ લાગતાં બુઝાવવા માટે આ બન્ને ત્યાં ગયા હતા પરંતુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં દાઝી ગયા હતા.
આટલા બધા સિલિન્ડર ક્યાંથી આવ્યા, રહેણાક બિલ્ડિંગમાં ધંધો કેમ ? નોટિસ અપાઈ
આગનો આ બનાવ અનેક રીતે શંકાસ્પદ છે જેમાં રહેણાક એપાર્ટમેન્ટમાં કેટરર્સનો વ્યવસાય ચાલી રહ્યો હોવાથી પહેલાં તો એ જ ગેરકાયદેસર ગણાય. આ ઉપરાંત એક સાથે 40 જેટલા સિલિન્ડર ક્યાંથી આવ્યા હશે તે પણ પ્રશ્ન પૂછી લેનારો મુદ્દો છે. બનાવની જાણ થતાં જ મામલતદાર સહિતના અધિકારીએ દોડી જઈ સિલિન્ડર ક્યાંથી આવ્યા તેની જાણકારી મેળવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત બિલ્ડિંગ યુઝ પરમીશન (બીયુપી) સર્ટિફિકેટ પણ મહાપાલિકા દ્વારા અશોક રૈયાણી પાસે માંગવામાં આવ્યું હતું. જો કે અશોક રૈયાણી દ્વારા પોતાની પાસે તમામ પૂરાવા હોવાનું જણાવી જવાબ રજૂ કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.
પૂરવઠા વિભાગે 38 સિલિન્ડર કબજે કર્યા
આગ લાગ્યાની તેમજ 40 સિલિન્ડર પડ્યા હોવાની જાણકારી મળતાં જ પૂરવઠા વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને બચી ગયેલા 38 સિલિન્ડર કબજે કરી આટલી મોટી w સંખ્યામાં સિલિન્ડર ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. જો તંત્ર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સિલિન્ડરની ગેરકાયદેસર હેરાફેરી પણ નીકળી શકે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી.
