દ્વારકામાં આગને કારણે એક જ પરિવારના ચાર લોકોના શ્વાસ રૂંધાવાથી મોત
પરિવારના દાદી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતા એટલે સલામત રીતે બહાર નીકળી ગયા
દ્વારકામાં રવિવારે એક મકાનમાં આગ લાગવાથી એક બાળક સહિત એક જ પરિવારના ચાર સભ્યોના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. પ્રાથમિક ધોરણે એર કંડિશનરમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મૃતકોની ઓળખ પવન ઉપાધ્યાય (39), તેની પત્ની તિથિ (29), પુત્રી ધ્યાન અને માતા ભવાનીબેન (69) તરીકે થઈ છે.
પોલીસ ઈન્સ્પેક્ટર ટી.સી.પટેલે જણાવ્યું હતું કે દ્વારકા શહેરના આદિત્ય રોડ પર આવેલા મકાનના પહેલા માળે સવારે 3.30 વાગ્યે આગ લાગી ત્યારે પરિવારના પાંચ સભ્યો સૂઈ રહ્યા હતા. આગ લાગ્યા બાદ ઘરમાં વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો અને પરિવારના સભ્યો બહાર નીકળી શક્યા નહોતા. ચારેય અંદર જ ગૂંગળાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓએ એક વ્યક્તિ, તેની પત્ની, તેની આઠ મહિનાની પુત્રી અને તેની માતાને ઘરના પહેલા માળે બેભાન અવસ્થામાં પડેલા જોયા હતા. આ તમામને સરકારી હોસ્પીટલે લઇ જવાયા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘરમાં દાદી ગ્રાઉન્ડ ફ્લોર પરના રૂમમાં સુતા હતા અને તે સુરક્ષિત બહાર નીકળી ગયા હતા.
એવું માનવામાં આવે છે કે એર કંડિશનર વધુ ગરમ થયા બાદ તેમાં વિસ્ફોટ થવાથી આગ લાગી હતી. તેમણે કહ્યું કે ફોરેન્સિક નિષ્ણાતો આગનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.