દ્વારકા દર્શન કરી પરત જતા ચાર મિત્રોને બામણબોર પાસે અકસ્માત,એકનું મોત
ચાલકને ઝોકું આવી જતા કાર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો
દ્વારકા દર્શન કરી સ્કોડા કારમાં પરત જઈ રહેલા કપડવંજના ચાર મિત્રોની કારને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ બામણબોર પાસે મધરાત્રે અકસ્માત સર્જાયો નડ્યો હતો.કાર નાલા સાથે અથડાઈ હતી જેમાં કપડવંજના વેપારી હિતેશ કેશવલાલ પટેલનું કરુણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે તેમની સાથે રહેલા નિલેશ ત્રિવેદી, અલ્કેશ પટેલ અને હિંમત પરમારને ઇજાઓ થઈ હતી. આ મિત્રો કાર લઇ દ્વારકા દર્શન કરવા આવ્યા બાદ પરત જતા હતા ત્યારે કાર ચાલવી રહેલા અલ્કેશ પટેલએ ઝોકું આવી જતા આ બનાવ બન્યો હતો.
મળતી વિગતો મુજબ કપડવંજ રહેતા વેપારી હિતેશભાઈ અને તેમના ત્રણ મિત્રો નિલેશ ત્રિવેદી, અલ્કેશ પટેલ અને હિંમત પરમાર શનિવારે પોતાની સ્કોડા કાર લઇ દ્વારકા દર્શન કરવા ગયા બાદ પરત કપડવંજ જતા, દ્વારકાથી હિમતભાઈએ કાર ચાલવતા હતા પરતું તેમને થાક લાગ્યો હોય જેથી બાદમાં અલ્કેશભાઈએ રસ્તામાં કાર ડ્રાઈવ કરી હતી. બધા મિત્રો કારમાં સુઈ ગયા હોય તે દરમિયાન બામણબોર પાસે મધરાત્રે અલ્કેશભાઈને પણ ઝોકું આવી જતા સ્કોડા કાર પેટ્રોલ પંપ પાસે આવેલ નાલા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કપડવંજના વેપારી હિતેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે નિલેશ ત્રિવેદી, અલ્કેશ પટેલ અને હિંમત પરમારને ઇજાઓ થઈ હતી જેને પ્રથમ વાંકાનેર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.