રાજકોટમાં સતત બીજા વર્ષે મનપાના ત્રણ ગ્રાઉન્ડમાં પ્રાઇવેટ મેળો નહીં ભરાય : કડક SOP નડી ગઈ, આયોજકોમાં ઉદાસીનતા
રાજકોટમાં લોકમેળો જેટલો રંગેચંગે યોજાય છે તેવી જ રીતે ખાનગી મેળાઓમાં મ્હાલ્વાનું પણ લોકોને એટલું જ પસંદ પડતું હોય છે. આ જ કારણથી મહાપાલિકા દ્વારા ઘણા વર્ષોથી પોતાના ત્રણ ગ્રાઉન્ડ ખાનગી મેળાઓને ભાડે આપવામાં આવતા હતા. જો કે પાછલા વર્ષે ટીઆરપી ગેઈમઝોન અગ્નિકાંડને કારણે કડક નિયમો અમલી બન્યા બાદ આ વર્ષે પણ રાઈડને લઈ કડક એસઓપી (નિયમો) જાહેર કરવામાં આવ્યા હોય સતત બીજા વર્ષે મહાપાલિકાના ગ્રાઉન્ડમાં ખાનગી મેળાનું આયોજન થઈ શકશે નહીં. ત્રણ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે મહાપાલિકા દ્વારા બબ્બે વખત પ્રયાસ કરવા છતા કોઈએ રસ લીધો ન્હોતો. હવે કદાચ રિ-ટેન્ડર કરાય તો પણ કોઈ ટેન્ડર ભરશે નહીં કેમ કે મેળા આડે સમય બહુ ઓછો છે.

મહાપાલિકા દ્વારા નાનામવા સર્કલ પાસે પેટ્રોલ પંપની બાજુમાં આવેલો પ્લોટ, અમીન માર્ગ કોર્નર પર ઝેડબલ્યુની બાજુનો પ્લોટ અને સાધુ વાસવાણી રોડ પર રાજ પેલેસ સામે આવેલો પ્લોટ ભાડે આપવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. અગાઉ કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર એક જ ટેન્ડર ભરાયું હતું પરંતુ તે પણ કોરું નીકળતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. જો કે બીજા પ્રયાસમાં તો એક પણ ટેન્ડર ન આવતા આ વખતે પણ ખાનગી મેળાનું આયોજન થાય તેવું લાગી રહ્યું નથી.
આ પણ વાંચો : આવક ટૂંકીને ખર્ચ ‘તગડો’ : રાજકોટ સહીત રાજ્યભરમાં આવકવેરાની ઢગલાભર નોટિસ નીકળતા ગભરાટ
આ પાછળ કડક એસઓપી તો જવાબદાર હોવાનું જાણકારો માની જ રહ્યા છે સાથે સાથે ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી સમયે જ વરસાદ પડે તેવી શક્યતા સેવાઈ રહી હોવાથી આયોજકોમાં ઉદાસિનતા જોવા મળી હતી.
