બાળકની કસ્ટડી માતા પાસે હોય ત્યારે પાસપોર્ટ માટે પિતાની સંમતિ જરૂરી નથી : HCનો ઐતિહાસિક ચુકાદો, સિંગલ મધરની જીત
માતા-પિતાના છુટાછેડાના કેસમાં માતાની સાથે રહેતા બાળકોના પાસપોર્ટ રીન્યુ કરવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આ ચુકાદાથી માતા અને બાળકોને રાહત મળી છે. આ કેસમાં રીજીયોનલ પાસપોર્ટ અધિકારીએ એમ કહીને વડોદરાની એક મહિલાની અરજી નકારી હતી કે બાળકોના પાસપોર્ટ રીન્યુઅલ વખતે તેમના પિતાની મંજુરીનો પત્ર જરૂરી છે. માતાએ એવી દલીલ કરી હતી કે તેના છુટાછેડા થઇ ગયા છે અને પતિ બે વર્ષથી જુદો રહે છે.
આ મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિ સાથે 2022માં છૂટાછેડા થયા હતા અને તેમની વચ્ચે થયેલા કરાર મુજબ બાળકો તેની કસ્ટડીમાં છે. આ કરારમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે પિતા ઓળખના દસ્તાવેજો માટે ‘ના વાંધા’ની નોંધ આપવા સહિત કાયદેસર બાબતોમાં સહકાર આપશે.
મહિલાએ કહ્યું કે તેને તાકીદે પાસપોર્ટ રીન્યુઅલની જરૂર છે કારણ કે તેની મોટી દીકરી 8 નવેમ્બરે SATની પરીક્ષા આપવાની છે, જે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી છે. જો કે, RPOએ પિતાની સંમતિ વિના પાસપોર્ટ રીન્યુ કરવાની ના પાડી હતી.
જસ્ટિસ એલ. એસ. પીરઝાદાએ પાસપોર્ટ નિયમો, 1980ના આધારે ચુકાદો આપ્યો કે જ્યારે છૂટાછેડાનો આદેશ હોય અને કરાર મુજબ બાળકોની કસ્ટડી માતા પાસે હોય ત્યારે પિતાની સંમતિ જરૂરી નથી. કોર્ટે RPOને એક અઠવાડિયામાં પાસપોર્ટ રીન્યુ કરવાનો આદેશ આપ્યો.
આ ચુકાદાથી રાજ્યમાં સિંગલ મધરને મોટી રાહત મળી છે અને તેમને પોતાના બાળકોના દસ્તાવેજો સંભાળવામાં સરળતા થશે. કોર્ટના આદેશથી બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદ મળશે.
