રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ : ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં સૌરાષ્ટ્રનું વજન વધશે! રિવાબા, કુંવરજી બાવળિયા સહિત આટલા લોકો બનશે મંત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નવી ટીમ આજે શુક્રવારે સવારે 11ઃ30 વાગ્યે જાહેર થઈ જવાની છે ત્યારે ગુરૂવારે આખો દિવસ આખા ગુજરાતની નજર ગાંધીનગર ઉપર મંડાયેલી રહી હતી. આ સાથે જ ગુરૂવારે બપોરે જ જૂની ટીમના 16 મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા. એકંદરે આ રાજીનામા ઉચાટ, આશા અને અણગમા વચ્ચે આપવામાં આવ્યા હોય તે પ્રકારે તમામ મંત્રીએ પોતાની ઓફિસ પણ ખાલી કરી દીધી હતી. હવે ભૂપેન્દ્રભાઈની નવી ટીમમાં કોણ અંદર હશે અને કોણ બહાર થશે તેની જ ચર્ચા આખો દિવસ રાજકીય ગલિયારામાં સાંભળવા મળી હતી.
નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રનું “વજન” વધશે. કુંવરજી બાવળિયા (જસદણ), રિવાબા જાડેજા (જામનગર), કાંતિભાઈ અમૃતિયા (મોરબી), કૌશિક વેકરિયા (અમરેલી), અર્જુન મોઢવાડીયા (પોરબંદર), જીતુભાઇ વાઘણી (ભાવનગર), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય)ને આવ્યો ફોન હતો.
આ પણ વાંચો :રાજકોટ પ્રત્યેનો અણગમો દૂર કરવાનો સમય : રાજ્યના નવા પ્રધાનમંડળમાં રાજકોટનું વજન ઉભુ કરી શકે તેવા નેતાનો સમાવેશ જરૂરી
નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરીયા, અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, જયરામ ગામીત, દર્શના વાઘેલા, ઇશ્વરસિંહ પટેલને ફોન આવી ગયો છે. નવા મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવું મંત્રીમંડળ પૂર્ણ કદનું 27 સભ્યનું હોય એવી શક્યતા જોવાઇ રહી છે.
સરકાર દ્વારા ગુરૂવારે સવારે 8:28 વાગ્યે જ જાહેરાત કરી દેવામાં આવી હતી કે ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં શુક્રવારે સવારે 11 : 30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે.
આ પણ વાંચો :રાજકોટમાં વધુ એક હત્યા : બીમાર પત્નીથી કંટાળી ઠંડા કલેજે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પતિ સામેથી પોલીસ સ્ટેશનમાં થયો હાજર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુંબઈ હોય તેવો ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યા આસપાસ ગુજરાત પરત ફર્યા હતા. આ પહેલાં રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલ, ગુજરાતના સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના દિગ્ગજ નેતાઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદ સાંજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ગુજરાત આવી પહોંચ્યા હતા. આ પહેલાં ભૂપેન્દ્રભાઈના બપોરે આગમન બાદ તમામ 16 મંત્રીઓએ પોતાના રાજીનામા તેમને સોંપ્યા હતા. આ રાજીનામા લીધા બાદ જેમને રિપિટ કરવાના હતા તે રાજીનામા પોતાની પાસે રાખી લઈ જેમને મંત્રીમંડળમાંથી `આઉટ’ કરવાના છે તે મંત્રીઓના રાજીનામા અને નવા મંત્રીમંડળનું લિસ્ટ લઈને મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.
બીજી બાજુ ગુરૂવારે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, રાષ્ટ્રીય મહાસચિવ સુનિલ બંસલની ઉપસ્થિતિમાં ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ હતી જે પૂર્ણ થયા બાદ રાત્રે જ જેમણે-જેમણે મંત્રીપદના શપથ લેવાના છે તેમને ફોન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે આજે શુક્રવારે કેબિનેટની બેઠક પણ મળશે જેમાં નવનિયુક્ત મંત્રીઓને ખાતાઓની પણ ફાળવણી કરી દેવામાં આવશે.
ગુરૂવારે ગાંધીનગરમાં શું શું બન્યું ?
– રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ સુનિલ બંસલે ગુજરાત આવી સંગઠન મહામંત્રી રત્નાકર સાથે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરી
– બપોરે ત્રણ વાગ્યે મુખ્યમંત્રી મુંબઈથી ગુજરાત આવ્યા
– ભૂપેન્દ્રભાઈ પટેલ સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા
– રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા
– રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને તમામ ધારાસભ્યોની બેઠક મળી
– જે.પી.નડ્ડાએ તમામને કર્યું સંબોધન
– રાત્રે જ મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યા અને નવા મંત્રીમંડળનું લિસ્ટ સોંપ્યું
રાજકોટને શું મળશે ? કશું મળશે કે નહીં ?
નવા મંત્રીમંડળનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સ્વાભાવિક રીતે અન્ય શહેરની જેમ રાજકોટના ચાર પૈકી કયા ધારાસભ્યને મંત્રીપદ મળશે કે કેમ તેની ચર્ચા થવા લાગી હતી. હાલ રાજકોટ-71ના ધારાસભ્ય ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા પરંતુ તેમના રાજીનામા બાદ હવે નવા મંત્રીમંડળમાં રાજકોટમાંથી ઉદય કાનગડ, ડૉ.દર્શિતા શાહ કે રમેશ ટીલાળાને સ્થાન અપાય છે કે પછી ભાનુબેન બાબરિયાને ફરીથી રિપિટ કરવામાં આવે છે તેવી ચર્ચા દરેક રાજકારણીના મોઢે સાંભળવા મળી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રનું `વજન’ વધશે કે કેમ તેવો કોલાહલ પણ સંભળાયો હતો.
બોક્સ ઉદયભાઈ, રમેશભાઈ, દર્શિતાબેન લાલ લાઈટવાળી કારમાં રાજકોટ આવે તેવી શુભકામના
રાજકોટમાં સાંજે 5ઃ30 વાગ્યે કિસાનપરા ચોક ખાતેથી દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધન કરતા સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે ઉદયભાઈ, રમેશભાઈ અને દર્શિતાબેન લાલ લાઈટવાળી કારમાં રાજકોટ આવે તેવી હું શુભકામના પાઠવું છું. રામભાઈનું આ વાક્ય સાંભળી ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ચર્ચાએ વળગી ગયા હતા.
શપથ સમારોહમાં 10,000 લોકો રહેશે હાજરઃ મેનુ પણ જાહેર
આજે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં આયોજિત નવા મંત્રીમંડળમાં દસ હજાર જેટલા લોકો હાજર રહે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. શપથ સમારોહની તૈયારીની સમીક્ષા કરવા માટે ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સહિતના પહોંચી ગયા હતા અને તેમણે જરૂરી દિશા-નિર્દેશ પણ આપ્યો હતો. આ ઉપરાંત શપથ સમારોહનું મેનુ પણ સામે આવ્યું હતું જેમાં તમામ વાનગી ગુજરાતી રાખવામાં આવી હતી.
