દર સોમ-મંગળ બીજા કોઈ કાર્યક્રમ ન ગોઠવો, માત્ર અરજદારોને જ સાંભળો
દરેક પોલીસ મથકના પીઆઈ અરજદારો માટે ઉપલબ્ધ રહે તે માટે રાજ્યના પોલીસ કમિશનર, એસપી, રેન્જ આઈજીને ગૃહમંત્રીનો આદેશ: આ બે દિવસ પોલીસ અધિકારીઓની બેઠક ન કરવા તાકિદ
રાજકોટ સહિત રાજ્યના પોલીસ મથકો ઉપરાંત કમિશનર, રેન્જ આઈજી, અધિક પોલીસ કમિશનર, એસપી, ડીસીપી સહિતના અધિકારીઓને મળવા માટે અરજદારો કતારમાં બેઠા હોય છે. જો કે તમામ અરજદારો ઉપરોક્ત અધિકારીઓને મળી શકતાં ન હોવાથી નિરાશ થઈને પરત ફરે છે. આ પછી બીજો ધક્કો ખાય છે અને જો ત્યારે પણ ન મળે તો પછી છેક ગાંધીનગર સુધી પોતાની રજૂઆત લઈને જતા હોવાનું એક નહીં બલ્કે અનેકવાર બની ચૂક્યું છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા દરેક પોલીસ અધિકારીઓને દર સોમ-મંગળવાર દરમિયાન બેઠક સહિતના એક પણ કાર્યક્રમ ન યોજી વિવિધ પોલીસ મથકના પીઆઈ માત્ર અરજદારોને મળવા અને સાંભળવાનો જ આગ્રહ રાખે તેવો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપતાં જણાવાયું છે કે એકદમ જરૂરિયાત ઉભી થાય તો જ પોલીસ અધિકારીઓની બેઠક સોમ-મંગળવારે યોજવાની રહેશે અન્યથા કોઈ પ્રકારની બેઠક કે બીજા કોઈ કાર્યક્રમ ગોઠવવાના રહેશે નહીં. એકંદરે દરેક અરજદારોનું તેના સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા નિર્માણ કરવાની રહેશે. આ માટે દરેક પોલીસ કમિશનર, રેન્જ આઈજી, એસપી, ડીસીપી સહિતના અધિકારીઓને ચોક્કસ ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને એક પણ અરજદારને ગાંધીનગરનો ધક્કો ન થાય તેનું ધ્યાન રાખવા પણ આદેશ અપાયો છે.
રાજકોટ પોલીસ કમિશનરનો નો-વેઈટિંગ'નો આવકારદાયક અભિગમ રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા અરજદારોને લઈને એકદમ ચીવટતા રાખવામાં આવી રહી છે. તેઓના આવ્યા બાદ કોઈ પણ અરજદારને પરત ન જવું પડે તે પ્રકારે તેમણે
નો-વેઈટિંગ’નો આવકારદાયક અભિગમ અખત્યાર કર્યો છે. તેઓ કચેરીના સમય દરમિયાન અરજદાર માટે કાયમ ઉપલબ્ધ રહે છે અને તેમને વ્યવસ્થિત સાંભળ્યા બાદ લાગુ અધિકારીઓને સુચના પણ આપી રહ્યા છે. ગત શુક્રવારે જ એક અત્યંત અસક્ત વૃદ્ધા તેમના પરિવારજન સાથે પોલીસ કમિશનરને મળવા માટે આવ્યા હતા ત્યારે તેમને જરા પણ વિલંબ વગર તુરંત જ કમિશનર મળ્યા હતા અને પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો. અરજદારોની વધુ પડતી અવર-જવર હોય તો કમિશનર દ્વારા અન્ય કામ બાદમાં હાથ પર લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ ભોજન પણ ઓફિસમાં જ લેવાનો આગ્રહ રાખતાં હોવાનું જાણવા મળી રહ્યું છે.