રાજકોટ જિલ્લામાં છૂટાછેડાનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું! તલાક માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા
આજના હાઈફાઈ જમાનમાં લગ્નસંબંધો ટકાઉને બદલે તકલાદી બન્યા છે અને નાની -નાની બાબતોમાં દંપતી છૂટાછેડા લઇ રહ્યા છે ત્યારે વર્ષ 2024માં કેન્દ્ર સરકારે નોટરાઇઝડ લગ્ન કે છૂટાછેડા માન્ય નહીં રહે તેવો પરિપત્ર અમલી બનાવતા જ રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં છૂટાછેડા રજિસ્ટ્રેશનનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાના આંકડા સામે આવ્યા છે.રાજકોટ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષમાં કુલ 2102 દંપતીઓએ રજીસ્ટ્રેશન કરી છૂટાછેડા લીધા છે જેમાં છેલ્લા એક વર્ષમાં જ રાજકોટની 18 સબરજિસ્ટ્રાર કચેરીમાં છૂટાછેડાના 907 ડોક્યુમેન્ટ રજીસ્ટર થયા હોવાનું સામે આવ્યું છે.
ઓક્ટોબર-2024માં કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ કુમારની સહી હેઠળ જારી કરાયેલા પરિપત્રમાં નોટરી દ્વારા એફિડેવિટના આધારે કરવામાં આવેલા લગ્ન અથવા છૂટાછેડા માન્ય રહેશે નહીં. નોંધનીય છે કે, રાજ્યમાં નોટરાઇઝ્ડ કરાર દ્વારા છૂટાછેડા રાજ્યમાં વ્યાપકપણે ચલણ હતું પરંતુ આ પરિપત્રથી છૂટાછેડાને બ્રેક લાગી ગઈ છે. બીજીતરફ નોટરાઇઝડ છૂટાછેડા બંધ થતા જ રાજકોટ જિલ્લાની અલગ અલગ સબ રજિસ્ટ્રાર કચેરીમાં છૂટાછેડાનું રજીસ્ટ્રેશન વધવા પામ્યું છે. જિલ્લાની અલગ-અલગ 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં વર્ષ 2024 દરમિયાન 907 છૂટાછેડાના ડોક્યુમેન્ટ રજીસ્ટર થયા હતા.
અગાઉના વર્ષોની તુલના કરવામાં આવે તો વર્ષ 2021માં 253, 2022માં 290, 2022માં 334, 2023માં 314 અને 2024માં 907 છૂટાછેડાના કેસ રજીસ્ટ્રેશન થયા હતા. ઉલ્લેખનીય છે કે,મ રાજ્યમાં મહાનગર પાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને લગ્ન નોંધણીની સતાઓ આપેલી છે. ત્યારે ધર્મપરિવર્તન અને અન્ય ખાસ લગ્નના કિસ્સાની નોંધણી જિલ્લાની મુખ્ય નોંધણી કચેરીમાં જ થતી હોય રાજકોટ જિલ્લામાં 1229 ખાસ લગ્નની નોંધણી કરવામાં આવી હોવાનું જિલ્લા નોંધણી કચેરીના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે.