વિકાસ, વિકાસ અને વિકાસ : મુખ્યમંત્રીએ રાજકોટને 583 કરોડ ફાળવ્યા, નાગરિકોને ફાયદો જ ફાયદો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણની પ્રતિબદ્ધતા સાથે ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે રાજ્યની 7 મહાનગરપાલિકાઓ અને 12 નગરપાલિકાઓને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આમાંથી રાજકોટને પણ કરોડોની રકમ મળવાની છે. ખાસ કરીને માળખાકીય સુવિધા ઉભી કરવા માટે 367 કરોડ, રસ્તાના કામ માટે 136 કરોડ અને બહારના વિસ્તારોનાં વિકાસ માટે 80 કરોડ રૂપિયા મળીને કુલ 583 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આ રકમ મહાનગરો-નગરો માટે ફાળવવામાં આવી છે તેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને નવરચિત 3 મહાનગર પાલિકાઓ નડિયાદ, પોરબંદર અને મોરબી – તથા નગરપાલિકાઓમાં વિસનગર, બોરસદ, વિરમગામ, પાટણ, આમોદ, ઉના, હળવદ, ખંભાળિયા, સાવરકુંડલા, ધાનેરા તેમજ વેરાવળ અને પાટણ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટના કામો માટે રૂ. 3798 કરોડ ફાળવ્યા છે. તેમાં વડોદરા મહાનગરપાલિકાને અર્બન મોબિલિટી અને ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓના 349 કામો માટે રૂ. 455 કરોડ, રાજકોટને 302 કામો માટે રૂ. 367 કરોડ અને અમદાવાદને રપર કામો માટે રૂ. 2940 કરોડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નવરચિત પોરબંદર મહાનગર પાલિકામાં 11 કામો માટે 6.20 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો અને નગરો-શહેરોમાં આઈકોનિક રોડ અન્વયે શહેરી સડક તેમજ ગૌરવ પથ નિર્માણ માટે સમગ્રતયા 219 કરોડ રૂપિયાના કામો મંજૂર થયા છે. તેમાં મોરબી મહાનગરપાલિકાને રૂ. 15 કરોડ, નડિયાદ મહાનગરપાલિકાને રૂ. 13 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 136 કરોડ અને નગરપાલિકાઓમાં ઉનાને રૂ. 17.76 કરોડ, હળવદને રૂ. 19.28 કરોડ તથા ખંભાળિયાને પાંચ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
આ પણ વાંચો : ભારત સામે ટ્રમ્પ અંતે કુણા પડયા : 25% ટેરિફની યાદીમાંથી આ પેટ્રોલિયમ પેદાશોને બાકાત રાખવાની કરી જાહેરાત

મુખ્યમંત્રીએ આ ઉપરાંત પાણી પુરવઠા લાઈનોના કામો અને વરસાદી પાણીના નિકાલ માટેના સ્ટોર્મ વોટર ડ્રેનેજ કામો માટે કુલ 93 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમમાંથી મોરબી મહાનગરપાલિકાને રૂ.61.64 કરોડ, સાવરકુંડલા નગરપાલિકાને રૂ. 19.28 કરોડ અને ધાનેરાને રૂ. 11.31 કરોડ ફાળવાયા છે.
નગરોમાં આગવી ઓળખના કામો માટે વેરાવળ-પાટણ નગરપાલિકા અને આમોદ નગરપાલિકાને કુલ રૂ. 14 કરોડ તથા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે વિસનગર, બોરસદ અને વિરમગામને રૂ. 2.72 કરોડના કામોની મુખ્યમંત્રીએ અનુમતી આપી છે. એટલું જ નહીં, રાજકોટને આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટ માટે રૂ. 80 કરોડ અને પાટણને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 2.72 કરોડ ફાળવાયા છે.
