રાજકોટના જંગલેશ્વરમાં રસ્તો પહોળો કરવા નડતો કાટમાળ ‘ક્લિયર’: નદીના પટ માટે ‘વેઈટ & વોચ’, ચુકાદો ન આવે ત્યાં સુધી કાટમાળ નહીં હટાવી શકાય
રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરમાં કરવામાં આવેલા ડિમોલિશનને સોમવારે એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે ત્યારે હજુ સુધી જે હેતુ માટે આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે રસ્તો પહોળો કરવાનું કામ શરૂ થઈ શક્યું નથી. જો કે રસ્તો પહોળો કરવા માટે તોડી પડાયેલા ગેરકાયદેસર મકાનોનો કાટમાળ યુદ્ધના ધોરણે કામ શરૂ કરી ક્લિયર મતલબ કે હટાવી દેવામાં આવ્યો હોવાનું મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું. જ્યારે આજી નદીના પટમાં જે કાટમાળ એકઠો થયો છે તેના માટે થોડો સમય રાહ જોવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે સાત ભાગ પાડીને આ ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ભાગ 1, 2 અને 3 કે જે આજી નદીના પટ વિસ્તારમાં આવે છે ત્યાં અને ભાગ 4, 5, 6 અને 7 કે જે 15 મીટર ટાઉન પ્લાનિંગ રોડ ઉપર આવે છે ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તા. 25-26 અને 27 એમ ત્રણ દિવસ દરમિયાન ડમ્પરના 1102 અને ટ્રેક્ટરના 1469 મળી કુલ 2771 ફેરા કરીને રસ્તા પરનો કાટમાળ હટાવી દેવામાં આવ્યો છે. એકંદરે હવે 15 મીટરના રોડ ઉપર કોઈ પ્રકારનો બાંધકામનો કાટમાળ ન હોવાનો દાવો તેમણે કર્યો હતો.
હવે રસ્તો પહોળો કરવા માટે લેવલિંગ ઉપરાંત રોડની માટીના નમૂના લઈને ટેસ્ટિંગ માટે ખાનગી યુનિવર્સિટીમાં મોકલી દેવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવી ગયા બાદ રોડની ડિઝાઇન પણ તૈયાર કરી લેવામાં આવશે.
આ ઉપરાંત આજી નદીના પટમાં જે કાટમાળ પડેલો છે તેને હાલની તકે બહાર કાઢવું અત્યંત કપરો બની ગયો છે. અહીં એક સાથે બે ડમ્પર જઈ શકે તેમ ન હોવાથી હવે મહાપાલિકા તંત્ર કલેક્ટર તંત્ર દ્વારા જે ડિમોલિશન કરવામાં આવનાર છે તેના મુદ્દે 6 માર્ચે હાઈકોર્ટ તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેની રાહ જોશે. જો કોર્ટ દ્વારા ડિમોલિશનને લીલીઝંડી આપી દેવામાં આવે છે તો કલેક્ટર તંત્ર દ્વારા ડિમોલિશન કરાયા બાદ આજી નદીનો કાટમાળ પણ નવા ડિમોલિશનના કાટમાળ સાથે ઉપાડી લેવામાં આવશે.
એકંદરે અત્યારે રોડ પરનો કાટમાળ દૂર કરાયો છે જ્યારે નદીના પટનો કાટમાળ કોર્ટના ચુકાદા બાદ ઉપાડવાની તૈયારી કરાશે. આ કાટમાળ સૌથી પહેલાં દેવપરા ખાતે ખાનગી માલિકીના પ્લોટમાં અને ત્યાંથી કોઠારિયાની ખાણમાં ઠાલવવામાં આવી રહ્યો છે.
