આભમાંથી વરસ્યો નુકસાનીનો વરસાદ
ચોમાસાની વિદાય થઇ ગઈ ,વરસાદની નહી : અનેક અનેક વિસ્તારમાં ૧ થી ૪ ઇંચ
ખેતરોમાં મગફળીનાં પાથરા પલળી ગયા
- સોયાબીન અને કપાસના પાકને પણ ભારે નુકસાન
- રાજકોટ, જામનગર, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં ઠેર ઠેર વરસાદ
ગુજરાતમાંથી હવામાન ખાતાએ ચોમાસાને સત્તાવાર રીતે વિદાય આપી દીધી છે પરંતુ વરસાદ હજુ અષાઢની જેમ વરસી રહ્યો છે. રવિવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે અને ખેડૂતોને ભારે નુકસાન ગયુ છે. ખેતરમાં મગફળીનાં પાથરા પલળી ગયા છે તો બીજી બાજુ સોયાબીન અને કપાસના પાકને પણ ભારે નુકસાન થયુ છે. રવિવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો અને પાણી ભરાયા હતા. આમ તો ઘણા દિવસથી વરસાદ પડી રહ્યો છે અને હજુ દિવાળી સુધી વરસાદ વરસતો રહેશે તેવી આગાહી પણ છે. આવી સ્થિતિમાં લોકો પણ મૂંઝવણમાં છે.
રવિવારે રાજકોટ, જામનગર, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં ઠેર ઠેર ૧ થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો અને હજુ આકાશ ગોરંભાયેલુ છે તેથી આવનારા બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે તેવું હવામાન નિષ્ણાતોએ જણાવ્યુ છે.
ગીર સોમનાથ જિલ્લાનાં મેંદરડા, માળિયાહાટીના, જામનગરના કાલાવડ, કલ્યાણપુર, કચ્છનાં મુન્દ્રા, માંડવી, અબડાસા, જૂનાગઢના ગીરનાર પર્વત, બોટાદના ઉગામેડી, ગઢડા, ઢસા, અમરેલીના વડીયા, ખાંભા , પોરબંદરના બરડા, રાજકોટના જસદણ, ઉપલેટા, ભડલી, આટકોટ, જામકંડોરણા સહિતના વિસ્તારમાં રવિવારે ૧ થી ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળીનાં પાથરા પલળી ગયા છે સાથોસાથ કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકસાન થયુ છે.