ઓખા જેટી પર ક્રેન તૂટતાં સર્જાઇ દુર્ઘટના : જેટી બનાવવાની કામગીરી દરમિયાન શ્રમિક ક્રેન નીચે દબાયા, 3ના મોત
દ્વારકાના ઓખામાં જેટી ઉપર ક્રેન તૂટવાની ઘટના સામે આવી છે જેમાં કોસ્ટ ગાર્ડ દ્વારા ચાલુ કામે ક્રેઇન તૂટી જતા બે શ્રમિકોના ક્રેન નીચે દટાઈ જવાથી તથા ત્રીજા શ્રમિકનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓખાબેટ ઉપર કામગીરી દરમિયાન બે શ્રમિકો કેનમાં દબાઈ ગયા હોવાથી મોત થયા હતા .જ્યારે એક શ્રમિક પાણીમાં પડી જતા તેનું પણ મૃત્યુ થયેલ છે. આમ આ દુર્ઘટનામાં કુલ મૃત્યુ આંક ૩ થવા પામેલ છે અને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓખા જેટી ઉપર તંત્ર દ્વારા કોસ્ટ ગાર્ડ પોલીસ જવાનો તેમજ ફાયર બ્રિગેડ 108ની ટીમ દોડી ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના ?
મળતી માહિતી મુજબ, ઓખાની પેસેન્જર જેટી પાસે નવી જેટીનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જ ક્રેન તૂટી પડતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં બે શ્રમિકો ક્રેન નીચે દટાઈ ગયા હતાં અને એક શ્રમિક દરિયામાં પડી ગયો હતો. ક્રેન નીચે દબાયેલા બંને લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, તેમજ અન્ય એક શ્રમિકનું દરિયામાંથી રેસક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.
મૃતકની થઈ ઓળખ
મૃતકોની ઓળખ જીતેન કરાડી, અરવિંદ કુમાર અને નિશાંત સિંહ તરીકે થઈ છે. હાલ, તંત્ર દ્વારા તમામના મૃતદેહને નજીકની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવી છે. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલાં વ્યક્તિમાં એક ઈજનેર હોવાનું પણ સામે આવ્યું છે.
તંત્રએ હાથ ધરી તપાસ
ઘટના બાદ તંત્ર દ્વારા અન્ય કોઈ લોકો દટાયા છે કે કોઈ ઈજાગ્રસ્ત થયું છે કેમ કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.