કોટડાસાંગાણીમાં ગૌમાતાનું કાળમુખું સંકટ: ગૌશાળામાં ચારો ખાધા બાદ 80 ગાયોના કરુણ મોત
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે હૃદયદ્રાવક ઘટના સર્જાઈ.
નિયમિત રીતે ઘાસચારો અને મગફળીનો ખોળ ખાધા બાદ એક પછી એક ગાયો તરફડવા લાગી અને સાંજ સુધીમાં આશરે 80 ગાયોના મોત થયા.
આ ઘટનાથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે. ઘટનાની ગંભીરતા જોઈ પશુપાલન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે.
રાજકોટ, ગોંડલ અને કોટડાસાંગાણીના પશુચિકિત્સકોની ટીમે ગૌશાળામાં પહોંચી બાકીની ગાયોની સારવાર શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ચારા-ખોળના સેમ્પલ લેવાઈ ગયા છે અને પોસ્ટમોર્ટમ સહિતની તપાસ ચાલુ છે. સત્ય બહાર આવે તે માટે પોલીસ અને વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
